સંસદના શિયાળુ સત્રની સાથે સંસદ ભવનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પર મહોર લગાવામાં આવી છે. આમ હવે આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
નાગરિકતા સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી
કેબિનેટની મંજૂરી બાદ સંસદમાં પેશ થશે બિલ
લોકસભાના ગત કાર્યકાળમાં પાસ થયું હતું બિલ
કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા બિલનો વિપક્ષોદ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને આ બિલ પર બધાની નજર છે.
સંસદમાં બિલ રજૂઆત દરમિયાન ભાજપ દ્વારા પોતાના બધા સાંસદોને સંસદમાં હાજર રહેવા જણાવામાં આવ્યું છે. જો આ બિલ લોકસભા અથવા રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે તો તેના પર ચર્ચા બાદ તરત મતદાન કરવામાં આવી શકે છે. 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ કાયદો લાવવાનું વચન આપ્યું હતું.
શું છે નાગરિકતા બિલ?
કેન્દ્રની મોદી સરકાર નાગરિકા વિધેયક 1955માં ફેરફાર કરવાની તૈયારીમાં છે. નવા બિલ હેઠળ નાગરિકતાને લઇને ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જો બિલ પાસ થઇ જશે તો પાડોશી દેશમાંથી ભારતમાં આવીને રહેનારા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં સરળતા થઇ જશે. પરંતુ આ નાગરિકાતા માત્ર હિન્દુ, જૈન, પારસી, બૌદ્ધ ધર્મના શરણાર્થીઓને જ આપવામાં આવશે. કોંગ્રેસ સહિત ઘણા બધા વિપક્ષો આ મામલે મોદી સરકારના આ બિલનો વિરોધ કરી રહ્યાં છે.