ગઇ કાલે રાજ્યસભામાં પસાર થયેલ નાગરિકતા સુધારા વિધેયક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ કરાઇ છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઇયુએમએલ)ના ચાર સાંસદોએ દાખલ કરેલી પોતાની પિટિશનમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે ધર્મના આધારે વર્ગીકરણ માટે દેશનું સંવિધાન મંજૂરી આપતું નથી.
નાગરિકતા સુધારા વિધેયક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઇ
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમમાં પિટિશન દાખલ કરી
નાગરિકતા બિલને લઇને મોદી સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે.
આ વિધેયક બંધારણના અનુચ્છેદ-૧૪નો ભંગ કરે છે અને તેથી તેમણે આ વિધેયક રદબાતલ ઠરાવવા સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન કરીને દાદ માગી છે. નાગરિકતા સંશોધન બિલ ભલે લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું હોય, પરંતુ આ મુદ્દે મોદી સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક તરફ જ્યાં પૂર્વોત્તરનાં રાજ્યમાં આ બિલનો ઉગ્ર હિંસક વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે પણ આ બિલને કોર્ટમાં પડકાર આપવાનો નિર્ણય કર્યો છે.
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ઈન્ડિયન મુસ્લિમ લીગ (આઈએમએલ) એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુસ્લિમ લીગે પોતાની અરજીમાં જણાવ્યું છે કે નાગરિકતા સુધારા વિધેયક અનુચ્છેદ-૧૪ના ટેસ્ટ પર ખરું ઊતરતું નથી. ધર્મના આધાર પર વર્ગીકરણ સંવિધાનની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ વિધેયક સંવિધાનમાં દર્શાવેલ સેક્યુલારિઝમના મૂળ સિદ્ધાંતોનું હનન કરે છે.
સદનમાં પણ કેટલાક નેતાઓએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આ બિલ ટકી શકવાનું નથી. કોંગ્રેસના સાંસદ પી. ચિદમ્બરમે કહ્યું હતું કે આ બિલ જો સંસદમાં રોકવામાં નહીં આવે તો તે સુપ્રીમ કોર્ટમાં ટકી નહીં શકે તેનો અમને પૂરો વિશ્વાસ છે.