નાગરિકતા સંશોધન કાયદાને લઇને રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલાનો ભાજપે જવાબ આપ્યો છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યું કે તેઓ કાયદાની જોગવાઇઓ પર માત્ર 10 લાઇનો બોલીને બતાવે.
રાહુલ ગાંધી નાગરિકતા સંશોધન કાયદાની જોગવાઇઓ પર માત્ર 10 લાઇન બોલી બતાવેઃ નડ્ડા
શું રાહુલે આ નુકસાનની નિંદા કરતું કોઇ નિવેદન આપ્યું છે?: નડ્ડા
ભારતના પ્રિય યુવાનો, મોદી અને શાહે તમારૂ ભવિષ્ય બરબાદ કરી નાખ્યુંઃ રાહુલ ગાંધી
ઇન્દોરમાં કાયદાના સમર્થનમાં આયોજિત ભાજપની રેલીમાં કહ્યું હતું કે હું રાહુલને કહેવા માંગુ છું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદાની જોગવાઇઓ પર માત્ર 10 લાઇન બોલી બતાવે. તેઓ માત્ર બે લાઇન તે જોગવાઇઓ પર પણ બોલીને બતાવે જેનાથી કથિતરીતે દેશનું નુકસાન થઇ રહ્યું છે.
આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશને વહેંચવાનું કામ કરી રહ્યા છે અને નફરત પાછળ છૂપાઇ રહ્યા છે. યુવાનોને અપીલ કરતા રાહુલે કહ્યું હતું કે આવી તાકાતોને ખતમ કરવાનો એક જ રસ્તો છે કે દરેક ભારતીયોમાં પ્રેમ પેદા કરવામાં આવે.
રાહુલે ટ્વિટ કર્યું હતું કે, ભારતના પ્રિય યુવાનો, મોદી અને શાહે તમારૂ ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે. તેઓ નોકરીઓને અછત અને અર્થતંત્રને નબળુ કરવા પર તમારા ગુસ્સાનો સામનો નથી કરી શકતા. તેથી તેઓ નફરત પાછળ છૂપાઇ રહ્યા છે.
તેની આ ટિપ્પણી પર પલટવાર કરતા નડ્ડાએ કહ્યું કે, આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશનું નેતૃત્વ કરવા આવેલ લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે પાયાની વાતો પણ જાણ નથી. નડ્ડાએ કહ્યુંકે, દેશમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલ હિંસક પ્રદર્શનોમાં જાહેર સંપત્તિને ઘણુ નુકસાન પહોંચ્યું છે. પરંતુ શું રાહુલે આ નુકસાનની નિંદા કરતું કોઇ નિવેદન આપ્યું છે?