દેશના અમુક રાજ્યોમાં નાગરિકતા કાયદાના વિરોધમાં ભડકેલી આગ આજે ગુજરાત પહોંચી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. લાલદરવાજા, શાહઆલમ, મિરઝાપુર અને રખિયાલ વિસ્તારમાં પરિસ્થિતિ ખુબ જ તંગ બની છે. શાહઆલમ વિસ્તારમાં અસામાજિક તત્વો અને સામાન્ય નાગરિકોએ પોલીસ પર બેફામ પથ્થરમારો કર્યો છે. VTVના પત્રકારે નજરે જોયેલી સ્થિતિ મુજબ પ્રદર્શનકારીઓએ કાશ્મીર સ્ટાઈલથી મોઢે રૂમાલ બાંધી પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.
અમદાવાદના શાહઆલમ, રખીયાલ, ચંડોલા તળાવ, શિવરંજની ઝાંસીની રાણી નજીક, ગોમતીપુર, લાલ દરવાજા સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ થયો. આ દરમિયાન પથ્થરમારો થયો, ટીયરગેસના છોડાયા, લાઠીચાર્જ કરાયો હતો. ત્યારે આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને લઇને 20થી વધુ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે.
આજે ભારત બંધના વિરોધમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરાયો હતો. શાહઆલમમાં પ્રદર્શનના નામે હિંસા પર ઉતરી આવેલા ટોળાએ તોડફોડ કરી હતી. તો કેટલાક અસામાજિક તત્વોએ પોલીસની ગાડીઓ પર તો હુમલો કર્યો.
પોલીસને પણ લોહી-લૂહાણ કરી
ટોળાએ પોલીસવાનમાં ચડવા જતા પડી ગયેલા પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. ટોળાએ બેરહેમીથી પોલીસ જવાનને માર માર્યો હતો. પોલીસની ગાડીઓ બાજુમાંથી જતી રહી અને પોલીસને માર પડતો રહ્યો. ટોળાએ પોલીસ જવાનને એકબાજુ ખેંચીને બેરહેમીથી માર માર્યો હતો.