ગુજરાતમાં લો પ્રેશરને કારણે મેઘરાજા મનમુકી રહ્યા છે. ત્યારે વરસાદી સીઝનમાં રસ્તાઓ જાણે બીમાર પડી ગયા હોય તેવા હાલ થયાં છે. અમદાવાદમાં પણ રસ્તાઓની આવી દશા જોવા મળી રહી છે. આવા રસ્તાઓને લઇને અમદાવાદના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે એક જાગૃત નાગરિકે મનપા કમિશનરે નોટિસ ફટકારી છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, નાગરિક અને ગ્રાહક સુરક્ષાના કાર્યકરે અમદાવાદના કમિશનર મુકેશ કુમારને રોડ રસ્તાની સ્થિતિને લઈને 3.25 લાખ રૂપિયાના વળતરના દાવાની નોટિસ ફટકારી છે. જો કે, વળતરની માંગ કરતી આવી નોટિસ આપતાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. નોંધનીય છે કે, આજે જુનાગઢ મનપા કમિશનરને પણ જાગૃત નાગરિકે નોટિસ ફટકારી હતી.
જુનાગઢ મનપા કમિશનરને પણ ફટકારી નોટિસ
જૂનાગઢમાં તૂટેલા રોડથી ત્રાસેલા એક નાગરિકે દાખલો બેસાડ્યો છે. તૂટેલા રોડથી ત્રાસેલી પ્રજાનો અવાજ સરકાર સાંભળે તો સારૂ. જૂનાગઢમાં ખાડાના કારણે 85 હજાર નુકસાન બદલ કમિશનરને નાગરિકની નોટિસ સામે આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને એક નાગરિકે નોટિસ ફટકારી છે.
બંધારણ અંતર્ગત જીવન જીવવાના અધિકારને ભોગવવાને ધ્યાનમાં લઈને મનપા કમિશનરને નોટીસ ફટકારી છે. જૂનાગઢમાં ખાડાને કારણે માનસિક તાણ અનુભવતા નોટિસ ફટકારી હતી.
કમિશનર પાસેથી સોજીત્રાએ કુલ 85 હજારનું વળતર માગ્યુ
ગુજરાત હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને સોજીત્રાએ વળતર માંગ્યુ છે. ખાડાને કારણે માનસિક આઘાત અનુભવવાનું વળતર 10 હજાર રૂપિયા માંગ્યુ છે. એટલું જ નહીં મહાનગરપાલિકાની સેવામાં ખામીનું 20 હજાર વળતર આપો. ખાડાથી શરીરમાં પીડા થઈ તો દવાખાના માટે 50 હજારનું વળતર આપો. નોટિસ ફટકારવા માટે કાનૂની ફી પણ કમિશનર પાસેથી વળતર પેટે માગી છે. કમિશનર પાસેથી સોજીત્રાએ કુલ 85 હજારનું વળતર માગ્યુ છે. કમિશનર જવાબ નહી આપે તો 15 દિવસમાં નાગરિક કોર્ટમાં જશે તેમ પણ જણાવ્યું છે.
વરસાદ બાદ રાજ્યના રોડ-રસ્તાના હાલ બેહાલ
અમદાવાદમાં વરસાદ બાદ ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. સનાથલ ચોકડીથી બોપલ બ્રિજ સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે. આવા રસ્તે વાહન ચલાવશો તો હાડકાને નુકસાન નક્કી છે. ગત વર્ષે જ ભાજપના નેતા આઇ.કે.જાડેજાએ આ રોડ મુદ્દે ટ્વીટ કર્યું હતું. આઇ.કે.જાડેજાના ટ્વીટ બાદ નવો રસ્તો બન્યો હતો. પરંતુ એક વર્ષમાં જ ફરી રસ્તો ખસ્તાહાલ થઈ ગયો છે...ભાજપના નેતાના ટ્વીટ બાદ બનેલો રસ્તો એક વર્ષમાં ધોવાઇ ગયો છે. ભાવનગરના મુખ્ય રસ્તાઓ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. ભાવનગર-મહુવા હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ભાવનગર-અમદાવાદ માર્ગ નજીકના રસ્તાઓ બિસ્માર બન્યા છે.