સુરેન્દ્રનગરઃ ગાર્ડી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ધવલ ત્રિવેદી બે વિદ્યાર્થીનીઓને ભગાડી ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેને ઝડપી લેવાયો હતો અને તેમને 20 વર્ષની આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ આ લંપટ શિક્ષક 10 દિવસના પેરોલ પર છૂટ્યો હતો જે દરમિયાન ચોટીલામાં ક્લાસીસ શરૂ કરી ત્યાંથી એક વિદ્યાર્થીનીને ભગાડીને ફરી ફરાર થઇ ગયો છે.
ત્યારે લંપટ શિક્ષક દ્વારા ચોટીલાની યુવતીના અપહરણના મામલે યુવતીના પરિવાર દ્વારા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષકની ભાળ આપનારને એક લાખના ઇનામની જાહેરાત કરી છે. ચોટીલાની યુવતિનું શિક્ષકે અપહરણ કર્યુ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. શિક્ષક ધવલ ત્રિવેદી અગાઉ પણ 7 યુવતિઓને ફસાવી ચુક્યો છે. પેરોલ પર છુટી ચોટીલામાં ટ્યુશન ક્લાસ ચલાવતો હતો.
શું છે સમગ્ર ઘટના?
ચોટીલામાં દુકાનદારની દીકરી કોલેજથી ઘરે પરત ફરી ન હતી. જ્યારબાદ તેમનો મોબાઇલ બંધ આવતો હતો અને તેની શોધખોળ હાથ ધરતા તેમની કોઇ ભાળ મળી નહોતી. જેને લઇને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે આ ધવલ ત્રિવેદી ચોટીલામાં ધર્મેન્દ્ર દવે નામથી પોતાની ઓળખ આપતો હતો.
આ લંપટ તેમના મિત્રોની મદદથી ચોટીલામાં અંગ્રેજી ટ્યૂશન ક્લાસ શરૂ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને 100 ટકા નોકરી આપવાની વાત કરી હતી. ત્યાર બાદ તેમને મોહજાળમાં ફસાવી તેને ભગાડીને ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી યુવતિને લઇ મોરબી બાદમાં ત્યાંથી અમદાવાદ લઇ ગયો હતો. ભાવનગરથી પૈસા મંગાવીને તે રાજ્ય બહાર નાસી ગયો હતો.
નોંધઃ પોલીસ દ્વારા આ લંપટને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પરંતુ જો કોઇને આ શિક્ષક જોવા મળે તો પોલીસ તંત્રના આ નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.પી.જી.જાડેજા ડીવાયએસપી ૦૯૮રપર ૧પ૬૮ર પી.ડી.પરમાર ચોટીલા પોલીસ ઇન્સપેકટર ૦૭૯૯૦ ૪૪પ૦ર૭ પોલીસ કંટ્રોલરૂમ સુરેન્દ્રનગર ૦ર૭પર ર૮ર૪પર ચોટીલા પોલીસ સ્ટેશન ૦ર૭પ૧ ર૮૦૩૨૩ ઉપર જાણકારી આપવા અપીલ કરવામાં આવેલ છે.