ગુજરાતના અનેક ગામોમાં ઘનઘોર રાત્રિએ બેડાં લઈ ખેતરે પાણી ભરવા જવું પડે છે. એનો અર્થ એ નથી કે આ ગામની મહિલાઓને દિવસ દરમિયાન નવરાશ નથી મળતી. હકીકતમાં ગુજરાતના વહીવટી તંત્ર તરફથી દિવસે ખેતરમાં વીજળી આપવામાં આવતી નથી.
પાણીનો પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં નહી પણ આખા દેશમાં ઉભો થયો છે. પાણીની સમસ્યાના લીધે છોટા ઉદેપુરના એક ગામના નાગરિકો પાણી માટે કાળી રાત્રે ખેતરે ખેતરે રક્ષળી રહ્યા છે. નજર કરીએ આ અહેવાલ પર.
ઉદેપુરના આ ગામમાં ઘનઘોર રાત્રીએ મહિલાઓ પાણીના બેડાં લઈને પાણી ભરવા જાય છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોની સરકારને એક ફરિયાદ છે કે સરકાર દિવસે વીજળી નથી આપતી જેના કારણે છોટા ઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાના સાંઢકૂવા ગામની મહિલાઓને રાત્રીના સમયે દૂર નિર્જન ખેતરમાં પાણી ભરવા જવું પડે છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ગામમાં પુરવઠા વિભાગે બનાવેલો પાણીનો સંપ છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. તેમાં જે પાણી આવે છે તે દૂષિત આવે છે. જેના કારણે ગામમાં રોગચાળો ફેલાય છે.
આ ઉપરાંત પાઈપલાઈનમાં પણ ઠેરઠેર પડેલા ભંગાણને કારણે પૂરતું પાણી મળતું નથી માત્ર એક જ કલાક આવતું પાણી ગ્રામજનો માટે પૂરતું નથી.
ગામ લોકોના જણાવ્યુ હતું કે સમસ્યાના અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર જવાબ આપવામાં ફાંફાં મારી રહ્યુ છે. ખેડૂતોની સમસ્યા આ એક ગામની નહિ પણ સમગ્ર ગુજરાતના ખેડૂતોની છે.