ગુજરાતના પ્રવાસે આવેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટી ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે.
ચિરાગ પાસવાન ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા
અમદાવાદમાં LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું નિવેદન
વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે પાર્ટી
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી એ રાજકીય અખાડો બની ગઈ છે, સાથે સાથે આ ચૂંટણીએ એક પ્રતિષ્ઠાનો જંગ પણ બની છે. કેન્દ્રના નેતાઓના રાજ્યમાં આટાફેરા અને મુલાકાતો પણ વધી છે. ત્યારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચિરાગ પાસવાને આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવદેન આપ્યું છે.
એરપોર્ટની બહાર કાર્યકરોએ કર્યું ઉષ્માભેર સ્વાગત
LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનનું આજે અમદાવાદ અરપોર્ટ પર આગમન થતાં જ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું ઢોલ-નગારાના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એરપોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. અહીં કાર્યકરો અને આગેવાનોએ ફુલહાર પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
અમારી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશેઃ ચિરાગ પાસવાન
આ તકે પત્રકારો સાથે વાત કરતા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, ચૂંટણીને લઈને જ હું ગુજરાતના પ્રવાસે આવ્યો છું, અમારી પાર્ટી ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડશે. કઈ-કઈ સીટ હશે અને કેટલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે તે સ્ટેટ યુનિટ પર છોડવામાં આવ્યું છે. સ્ટેટ યુનિટ ટૂંક સમયમાં પોતાનો ફાઈનલ રિપોર્ટ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સંસદીય બોર્ડને સબમિટ કરશે.
રાજકોટમાં પણ યોજાશે કાર્યક્રમ
તેમણે કહ્યું હતું કે, આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જ હું આજે અમદાવાદ આવ્યો છું. આ પછી હું ગોધરા જઈશ અને 10 દિવસની અંદર રાજકોટમાં અમારી પાર્ટીનો કાર્યક્રમ યોજાશે.
ગુજરાતમાં ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન મુદ્દે વાત ચાલી રહીં છેઃ ચિરાગ પાસવાન
ગઠબંધન અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન મુદ્દે વાત ચાલી રહીં છે. હાલ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગઠબંધન થાય કે ન થયા પરંતુ પાર્ટી વિધાનસભાની ચૂંટણી જરૂર લડશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સાથે ગઠબંધનને લઈને કોઈ વાતચીત કરવામાં આવી નથી.
ગયા મહિને પણ આવ્યા હતા ગુજરાતના પ્રવાસે
અત્રે ઉલ્લેખનીય છે કે, ખુદને 'મોદીના હનુમાન' ગણાવનાર ચિરાગ પાસવાન ગયા મહિને પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે આવ્યા હતા. 13 સપ્ટેમ્બરના રોજ ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે તેમના સમર્થકોએ તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા ચિરાગ પાસવાને ભરૂચ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. આપને જણાવી દઈએ કે, ગત બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીને રામ અને ખુદ પોતાને તેમના હનુમાન ગણાવ્યા હતાં.