બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવેલા લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે, પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
ચિરાગ પાસવાન બે દિવસીય ગુજરાત પ્રવાસે
ભરૂચમાં LJPના અધ્યક્ષ ચિરાગ પાસવાનનું નિવેદન
ગુજરાતની તમામ બેઠક ઉપર ઉભા રાખશે ઉમેદવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા અને મુલાકાતો વધી ગઈ છે. ત્યારે હવે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન ગુજરાતના બે દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. ગતરાત્રીએ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે તેમના સમર્થકોએ તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું.
તમામ બેઠકો પર પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશેઃ ચિરાગ
સુરતના કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા ચિરાગ પાસવાને ભરૂચ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. જ્યાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે મોટું નિવેદન આપ્યું હતું. ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં લોકશક્તિ પાર્ટી (રામવિલાસ)એ નિર્ણય કર્યો છે કે, 'ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે અને અમે અમારા નેતા રામવિલાસ પાસવાસના વિચારોને લઈને જનતાની વચ્ચે જઈશું.'
સુરતની બેઠકમાં રણનીતિ તૈયાર કરાશે
ખુદને 'મોદીના હનુમાન' ગણાવનાર ચિરાગ પાસવાને વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના તમામ ઉમેદવારો રામવિલાસ પાસવાનના વિચારોને લઈને જનતાની વચ્ચે જાય તે ઉદ્દેશની સાથે હું બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યો છે. સુરતમાં અમારી પાર્ટીની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરાશે.
આપને જણાવી દઈએ કે, ગત બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે ચિરાગ પાસવાને વડાપ્રધાન મોદીને રામ અને ખુદ પોતાને તેમના હનુમાન ગણાવ્યા હતાં. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'હનુમાનનો વધ થઈ રહ્યો હોય અને રામ ચૂપ રહે તે યોગ્ય ન કહેવાય. આપણે રામાયણમાં જોયુ છે કે, હનુમાનજીના દરેક કામમાં રામે સાથ આપ્યો હતો અને દરેક વખતે હનુમાન ભગવાન રામની સાથે ચાલ્યા. એવી જ રીતે તેમની પાર્ટી લોજપા દરેક નાના મોટા નિર્ણય પર નરેન્દ્ર મોદીની સાથે ઊભી રહી. દરેક નિર્ણયમાં ભાજપની સાથે મજબૂતીથી ઊભા રહેનારા હનુમાન પર આજે સંકટ આવ્યું છે, આશા રાખીએ છીએ કે, રામ હસ્તક્ષેપ કરશે.'