ચીનના પ્રવક્તા જી રોન્ગે એક મહત્વનું નિવેદન આપતા એવો દાવો કર્યો છે કે ચીને કોરોના વાયરસનું નિર્માણ કર્યું નથી કે ન તો ચીને ઈરાદાપૂર્વક વાયરસને ફેલાવાનો પ્રયત્ન કર્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણે તેને વુહાન વાયરસ કે ચાઇનીઝ વાયરસ ન કહેવો જોઈએ અને ચીન ઉપર આક્ષેપબાજી કરવા કરતા ચીને કેવી રીતે આ વાયરસને અટકાવ્યો તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ભારતે ચીનને જરૂરિયાત સમયે ઘણી મદદ કરી: જી રોન્ગ
ચીનને ખાતરી છે કે ભારત આ મહામારીમાંથી બહાર આવશે: જી રોન્ગ
સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકામાં આ વાયરસ દેખાવાનો શરુ થઇ ગયો હતો: જી રોન્ગનો દાવો
ભારત સાથે સહકાર વિષે વાત કરતા જી રોન્ગે આગળ કહ્યું કે ભારત આ મુદ્દે સતત ચીન સાથે સંપર્કમાં છે અને બંને દેશો આ મુશ્કેલીના સમયમાં એકબીજાની મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત તરફથી ચીનને મેડિકલ સાધન સામગ્રીનો પુરવઠો મળ્યો છે જેના માટે ચીન ભારતનું આભારી છે.
WHOના ચીન અને વુહાનને કોરોના વાયરસ સાથે ન સાંકળવાના નિવેદન ઉપર ભાર મુકતા જી રોન્ગે આગળ જણાવ્યું હતું કે ચીન ઉપર આવા ખોટા આક્ષેપો લગાવવા એ ચીનના ડોકટરો, જેમણે દુનિયામાં લોકોનો જીવ બચાવવા પોતાનો જીવ દાવ ઉપર લગાવી દીધો હતો, તેમનું અપમાન કરવા સમાન છે.
જી રોન્ગ એમ પણ સ્વીકારવા તૈયાર નથી કે આ વાયરસ ચીનના વુહાનથી મૂળ શરુ થયો હતો. તેઓ કહે છે કે કોવિડ 19ની શરૂઆત ક્યાંથી થઇ છે એ હજુ એક વૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે. ચીને કોરોના વાયરસનું નિર્માણ કર્યું નથી કે ન તો ચીને ઈરાદાપૂર્વક વાયરસને ફેલાવાનો પ્રયત્ન કર્યો છે. આંતરરાષ્ટ્રીય ધોરણે તેને વુહાન વાયરસ કે ચાઇનીઝ વાયરસ ન કહેવો જોઈએ એવું જી રોન્ગનું માનવું છે.
હમણાં USના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પે દ્વારા વાપરવામાં આવેલ શબ્દ વુહાન વાયરસની તેમણે ટીકા કરી હતી. નોંધનીય છે કે WHO વારંવાર કહી ચુક્યું છે કે વાયરસને કોઈ દેશ, જાતિ કે ધર્મના લોકો સાથે જોડવામાં ન આવે.
એક આશ્ચર્યજનક ખુલાસામાં અમેરિકાના રોગ નિયંત્રણ ખાતાના અધિકારીએ સ્વીકાર્યું હતું કે સામાન્ય ફ્લુનો અમેરિકામાં સપ્ટેમ્બર ૨૦૧૯થી આશરે ૩ કરોડ લોકોને ચેપ લાગ્યો હતો. આ સામાન્ય શરદી ઉધરસમાં ૨૦૦૦૦ લોકોના મોત થયા હતા જયારે અત્યારે એવું લાગી રહ્યું છે કે આ ફ્લુમાં તે સમયથી જ થોડા કેસીસ કોરોના વાયરસના આવવાના શરુ થઇ ગયા હતા. આ પ્રકારનું નિવેદન પણ જી રોન્ગે આપ્યું હતું.
જી રોન્ગના મતે ચીને સમયસર પગલા ભરવાની શરૂઆત કરી દીધી જેમાં વુહાન શહેરનો લોક ડાઉન અને યાત્રાઓ રદ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચીને મહામારીના નિયંત્રણ માટેના પગલા અને તેનો ડેટા WHO સાથે સમયસર શેર કરી દીધો હતો.
નોંધનીય છે કે ચીનમાં કોરોના વાયરસના ૮૧૦૦૦ જેટલા કેસ છે. આ આંકડો છેલ્લા મહિનાથી ચીને સફળતાપૂર્વક કાબૂમાં કરી દીધો છે. ચીનમાં ૩૨૦૦ લોકોના મોત થયા છે અને પુરા ૭૩૦૦૦ લોકો તો કોરોના વાયરસથી સાજા પણ થઇ ગયા છે. ચીને હમણાં યુરોપ એશિયા અને ભારત સહિતના દક્ષિણ એશિયાના દેશો સાથે કોરોના વાયરસના નિયંત્રણ પગલે વીડિઓ કોન્ફરન્સ યોજી હતી એવું જી રોન્ગે જણાવ્યું હતું.
જી રોન્ગે એવો પણ દાવો કર્યો હતો કે ચાઇનીઝ એન્ટરપ્રાઈઝે ભારતને આ મુદ્દે ભંડોળ પણ આપ્યું છે. તેમને વિશ્વાસ છે કે ભારત ખૂબ જલ્દી આ મહામારીમાંથી બહાર આવી જશે.