ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે ત્યારે ચીની રાષ્ટ્રપતિએ પીએમ મોદીને સંદેશ પાઠવ્યો છે.
ભારતમાં કોરોનાની ભયંકર તબાહી
ચીની રાષ્ટ્રપતિએ પીએમ મોદીને મોકલ્યો સંદેશ
મહામારી સામે મદદ કરવાની રજૂઆત
ચીનથી ફેલાયેલા વાયરસની તબાહી
ચીનથી આખા વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાના કેટલાય દેશોના લાખો લોકોના જીવ લીધા છે ત્યારે ભારતમાં આ વાયરસે તાંડવ મચાવ્યો છે. ભારતમાં પહેલી લહેર કરતાં હાલમાં જ આવેલી બીજી લહેરે તો કોહરામ મચાવ્યો છે ત્યારે ચીનના રાષ્ટ્રપતિએ ભારત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતો એક મેસેજ પીએમ મોદીને મોકલ્યો છે.
શું છે મેસેજ?
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો છે જેમાં ભારતમાં મહામારીને લઈને સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને બીજી લહેરની સામે લડવા માટે મદદ કરવાની રજૂઆત પણ શી જિનપિંગ તરફથી કરવામાં આવી છે. ચીની સરકારી ન્યૂઝ એજનસી અનુસાર રાષ્ટ્રપતિ શીએ પીએમ મોદીને ભારતમાં ફેલાઈ રહેલી મહામારીને લઈને સંવેદના પાઠવી છે. આ સંદેશમાં રાષ્ટ્રપતિ શીએ કહ્યું છે કે ચીન મહામારીની સામે ભારતને મજબૂતી આપવા માટે સમર્થન અને મદદ કરવા માંગે છે.
મદદ કરવા માંગે છે ચીન
નોંધનીય છે કે આ પહેલા ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું હતું કે કોરોના સામે ચીન તૈયાર છે અને કોરોના સામે તૈયાર વસ્તુઓ તેજીથી ભારત મોકલી રહ્યું છે. વિદેશમંત્રીએ ભારતના વિદેશ મંત્રી જયશંકરને લેટર લખીને કહ્યું હતું કે ચીન ભારત સામે આવેલા પડકારને લઈને સાનુભૂતિ વ્યક્ત કરે છે.
આખું વિશ્વ ભારતની મદદે
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી પડી છે અને આ કહેરથી દુનિયાના ઘણા દેશોની ચિંતામાં વધારો થયો છે તથા દુનિયાના કેટલાય દેશો ભારતની મદદે આવ્યા છે. ભૂટાન જેવા નાના દેશો હોય કે પછી અમેરિકા અને રશિયા જેવી મહાસત્તા, કેટલાય દેશો ભારતને મદદ મોકલી રહ્યા છે અને મદદનો ધોધ સતત યથાવત છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ હાલમાં જ કહ્યું હતું કે પહેલા ભારતે કોરોના સામે અમેરિકાની મદદ કરી હતી અને હવે અમે ભારતની મદદ જરૂર કરીશું.
ભારતમાં કોરોના વાયરસની સુનામી
માર્ચ મહિનાથી ભારતમાં કોરોના વાયરસના કેસમાં અચાનક જ ઉછાળો જોવાં મળ્યો હતો અને તે બાદ સતત કેસ વધી રહ્યા છે. દેશની હોસ્પિટલો ઉભરાઇ ગઈ છે અને લોકો સારવાર વિના જ દમ તોડી રહ્યા છે. ઈન્જેક્શનો અને ઑક્સીજન ખૂટી પડ્યું છે અને હાલત એ છે કે હવેથી સ્મશાનોમાં જગ્યા નથી અને લાકડાઓ ખૂટી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે 3,86,452 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3498 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવતાં હાહાકાર જેવી સ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે 2,97,540 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા પણ થયા છે.