ભારતમાં આ દિવાળીમાં ચીનનો બહિષ્કાર થઇ રહ્યો છે ત્યારે ચીને હવે ડંફાસો મારવાની શરુ કરી છે, ચીન કહી રહ્યું છે કે સસ્તો સામાન ન મળવાથી હવે ગરીબોએ જૂના દીવડાંથી કામ ચલાવવું પડશે.
દિવાળીમાં ભારતમાં ચીની સામાનનો બહિષ્કાર
કેટલાય લોકોએ જૂનાં જમાનાનાં દીવડાંથી કામ ચલાવવું પડશે : ચીન
સામાન રિપ્લેસ કરવો હોય તો આધુનિક ઉત્પાદનો પર મહેનત કરો : ચીન
ભારત ચીન સરહદ વિવાદની અસર ચીનની સસ્તી પ્રોડક્ટ્સ પર પણ પડી રહી છે . ભારતમાં આ વખતે હોલસેલ હોય કે નાની દુકાનના માલિકો મોટા ભાગનાં લોકો ચીનના સામાનનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનને આ વાતના મરચા લાગ્યા છે. ચીની સરકારના મુખપત્ર સમાન ગ્લોબલ ટાઈમ્સમાં ચીને બળાપો કાઢ્યો છે.
ચીને દાવો કર્યો કે ચીનમાં જે રીતે ચીની સામાનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેનાથી ચીન કરતા વધારે નુકસાન તો ભારતનું જ થશે. ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યું કે ગરીબો માટે દિવાળી ઉજવવી મુશ્કેલ બની જશે.
ભારતમાં ચીનને નુકસાન પહોંચે તે હેતુથી બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ચીનનો દાવો છે કે દિવાળીમાં ચીનનો બહિષ્કાર કરવાથી તેમને કોઈ જ નુકસાન નહીં થાય. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ચીની વસ્તુઓના નિકાસમાં ભારતનો હિસ્સો ખૂબ ઓછો છે અને ક્રિસમસની તુલનામાં દિવાળીમાં તો વેપાર કશું જ નથી.
ચીને ભારત પર ટોણો મારતા કહ્યું કે ચીનના આધુનિક વસ્તુઓના બહિષ્કાર કરવાની કિંમતના રૂપે કેટલાય લોકોએ જૂના જમાનાનાં દીવડાંઓથી કામ ચલાવવું પડશે. ચીને કહ્યું કે જો ભારતે ચીની સામાનની જગ્યાએ પોતાના સામાન વેચવા હોય તો આધુનિક ઉત્પાદનો પર મહેનત કરવી જોઈએ, ના કે જૂના જમાનાનાં દીવડાંઓ.