કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું હતું કે ચીને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો. નીતિન ગડકરી નાગપુરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ મહારાષ્ટ્રના ભાજપ કાર્યોકર્તાઓને સંબોધન કરી રહ્યાં હતા.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગલવાન ઘાટીમાં ગતિરોધને લઇને ચર્ચા કરતાં કહ્યું, અમે જાણીએ છીએ કે આપણી સરહદ સુરક્ષિત નથી. ચીને એક રીતે આપણી સરહદમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો, પરંતું આપણી સેનાએ તેને જડબાતોડ જવાબ આપ્યો.
નીતિન ગડકરીએ કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત અટલ બિહારી વાજપેયીના સમયથી જ ભારત સરકાર હંમેશા પાડોશી દેશો સાથે સોહાર્દપૂર્ણ સંબંધ રાખવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વિસ્તારવાદી નથી. ગડકરીએ કહ્યું કે ભારતે ક્યારેય ભૂટાન જેવા નાના દેશની પણ એક ફૂટ જગ્યા લેવાનો પ્રયત્ન કર્યો નથી. આ ભારત સરકાર હતી જે બાંગ્લાદેશ માટે લડી, પરંતુ આપણે તેમની જમીન પર કબ્જો કર્યો નથી.
ગડકરીએ કહ્યું કે આપણે બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું, ત્યાં સરકાર ગઠન સુનિશ્ચિત કરી પરત આવી ગયા. પાડોશી દેશો પ્રતિ આપણી નીતિ ઇમાનદાર, સોહાર્દપૂર્ણ અને સહયોગની રહી છે.