કોરોના વાઇરસથી ભારત સહિત સમગ્ર દુનિયાને પરેશાન કર્યા બાદ ચીને હવે ભારત સહિત અન્ય દેશો સામે હાઇબ્રિડ વોર છેડી છે.
ચીન અને ભારત વચ્ચે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી તણાવનો માહોલ જારી છે. ચીન ભારતને હેરાન પરેશાન કરવાની એક પણ તક છોડતું નથી. ચીન માત્ર ભારતને જ નહીં, પરંતુ અન્ય દેશોને પણ હેરાન પરેશાન કરી રહ્યું છે. કોરોના વાઇરસનો જન્મ ચીનના પાપે થયો હોવાનો અહેવાલો છે અને કોરોના વાઇરસથી ભારત સહિત સમગ્ર દુનિયાને પરેશાન કર્યા બાદ ચીને હવે ભારત સહિત અન્ય દેશો સામે હાઇબ્રિડ વોર છેડી છે.
હાઇબ્રિડ વોર શું છે?
હાઇબ્રિડ વોર હેઠળ ચીન ભારતમાં હજારો લોકોની જાસૂસી કરી રહ્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર પણ ચીન જાસૂસી કરી રહ્યું છે. હાઇબ્રિડ વોર આખરે શું છે? હાઇબ્રિડ વોર હેઠળ કોઇ વ્યકિત વિશેષને લઇને ખોટી જાણકારી, અફવા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે તે વ્યકિત વિશેષની ડેટા ઇન્ફર્મેશનની ચોરી કરવામાં આવે છે. આ માટે સાઇબર સ્પેસ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સના શસ્ત્રોથી હાઇબ્રિડ વોર લડવામાં આવે છે. ઇન્ડિયન એકસપ્રેસના સનસનીખેજ રિપોર્ટ અનુસાર ચીને વડા પ્રધાન મોદીથી લઇને સોનિયા ગાંધી સહિતના વીવીઆઇપીઓની જાસૂસી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ચીને આર્થિક જાસૂસીનું પણ શસ્ત્ર ઉગામ્યું છે. રિલાયન્સ સહિત કેટલીયે કંપનીઓના સીઇઓ અને અન્ય વડાઓ પર બાજ નજર રાખીને તેમની જાસૂસી ચીન દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં ચીને પીએમઓ સહિતના અધિકારીઓની પણ જાસૂસી ચાલુ કરી દીધી છે. ૩૭૦ કરતાં વધુ બ્યૂરોક્રેટસને પણ ચીને પોતાના રડારમાં લઇને જાસૂસી કરી છે.
ચીન ગુનેગારો ઉપર નજર રાખી રહ્યું છે
આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે ચીન હાઇ પ્રોફાઇલ ક્રાઇમ પર બાજ નજર રાખી રહ્યું છે અને આઇપીએલના સટ્ટાથી લઇ મોબાઇલની ચોરી કરનાર સુધી ચીન જાસૂસી કરી રહ્યું છે. ચીનના વોચલિસ્ટમાં આઇપીએલના સટ્ટાબાજો, ચેઇન સ્નેચર્સ, મોબાઇલ ચોરો, આતંકીઓ, ડ્રગ્સના પેડલર્સ, સોના-ચાંદી અને પશુની દાણચોરી કરતા તસ્કરો સહિતના અપરાધીઓ સામેલ છે. આમ, ચીન હવે ભારતના અર્થતંત્ર અને બંધારણીય પદ પર બેઠેલા લોકોની જાસૂસી કરવા ઉપરાંત ચીનના નિશાન પર ૬,૦૦૦ જેટલા આર્થિક અપરાધીઓ પણ છે.
ભારતના આ ટોચના અધિકારીઓ ચીનના રડારમાં
રિપોર્ટ અનુસાર ચીન પીએમઓના ટોચના અધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, વિજિલન્સ વિભાગના અધિકારીઓ, વિદેશ વિભાગના અધિકારીઓ અને નાણાં મંત્રાલયના અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. પીએમઓના ઓછામાં ઓછા ૬ અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે એટલું જ નહીં, ચીને ઓછામાં ઓછા ર૩ મુખ્ય સચિવ અને ૧પ ડીજીપીની જાસૂસી કરવાનું ચાલુ રાખ્યું છે. ચીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના એડિશનલ સેક્રેટરી અર્ચના વર્મા, ગૃહ મંત્રાલયના સચિવ જી. કિશન રેડ્ડીના પર્સનલ સેક્રેટરી ટી. શ્રીકાંત, એડિશનલ સેક્રેટરી (વિદેશ) અિનલ મલિક, ભારત પેટ્રોલિયમના સીઇઓ ડી. રાજકુમાર, ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી વિવેક ભારદ્વાજ, વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસ. અપર્ણા સહિત ટોચના અધિકારીઓ ચીનના વોચલિસ્ટમાં છે.
ચીનની જાસૂસી સામે દેશમાં સતર્કતાની જરૂર
ચીનની નજર આઈપીએલ મેચમાં રમાતા સટ્ટા ઉપર પણ છે. રિપોર્ટ મુજબ ચીન આઈપીએલ અને ક્રિકેટ વર્લ્ડ કપમાં સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગમાં ૪૦થી વધુ સટ્ટાબાજોનો રેકોર્ડ રાખી રહ્યું છે. આમ ચીને શેનઝેન સ્થિત ટેકનોલોજી કંપની ઝેનહુઆ ડેટા ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા જાસૂસી શરૂ કરીને હવે ભારત વિરુદ્ધ હાઇબ્રિડ વોર છેડી છે જે ખૂબ જ ગંભીર બાબત છે. દેશની ટોચની હસ્તીઓથી લઇને દેશની સુરક્ષા માટે ચીનની આ ખતરનાક ચાલ સામે સરકારે અત્યારથી જ સતર્ક થઇ જવાની જરૂર છે. આપણું તંત્ર અને સરકાર ચીન સામે ઊંઘતું ઝડપાઇ ગયું છે. સરકારે હવે વિના વિલંબે ચીનના જાસૂસી દાવ સામે જોરદાર પ્રતિકાર કરવાની જરૂર છે. અન્યથા પાછળથી પસ્તાવાનો વારો આવી શકે છે.