વિશ્વ આરોગ્ય સંસ્થામાં કોરોના વાઈરસ ખરેખર કયાંથી આવ્યો તેની તપાસ થવી જોઇએ તેવી માગણી સમયની માગ છે. આવી દરખાસ્ત તૈયાર કરવામાં આવી અને તેનો ટેકો આપનારા દેશો ભારતમાં પણ શામેલ છે.
કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારી અંગે ચીનનો વ્યવહાર એક જવાબદાર દેશ જેવો બિલ્કુલ હતો નહીં
ચીને તેના લોકો જ નહીં પરંતુ સમગ્ર દુનિયાથી ઘણી બાબતો છુપાવી છે
હકીકતમાં વિશ્વના તમામ દેશોએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોરોના વાયરસનો સ્ત્રોત શોધવાની સાથે સાથે ચીન આ તપાસમાં પુરેપુરો સહયોગ આપે. દુનિયાના તમામ દેશોએ એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ભવિષ્યમાં આવી કોઇ મહામારી દુનિયામાં કેર ન વર્તાવે તે માટે કોઈ ફુલપ્રુફ સિસ્ટમ પણ બનાવવી કેમ કે કોરોનાની મહામારી સમગ્ર દુનિયા માટે એક બોધપાઠ છે. આવી આપત્તિ ભવિષ્યમાં કોઇપણ સંજોગોમાં આવવી ન જોઇએ. આ ત્યારે જ શક્ય થશે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના નિરીક્ષકોને કોઈ દેશની મુલાકાત લેવાનો અને ત્યાંની પરિસ્થિતિની જાણકારી કોઇ રોકટોક વિના લેવાનો અધિકાર મળશે. જો વિશ્વ આરોગ્ય સંસ્થાના નિરીક્ષકોને આવો અધિકાર હોત અને તેમણે ચીનના વુહાનમાંથી માહિતી એકઠી કરવા દેવાઇ હોત તો કદાચ આજે વિશ્વમાં કોરોનાથી આટલી મોટી પાયમાલીથી સહન કરવું ન પડયું હોત.
ચીને કોરોનાને લગતી અતિઅગત્યની બાબતો છુપાવી
અલબત્ત, કોઇ પણ નિષ્પક્ષ તપાસ કરતા પહેલા કહેવું મુશ્કેલ છે કે ચીનમાં આ વાયરસ કોઇ અકળ કારણથી ફેલાયો કે પછી તેની લેબોરેટરીમાંથી અકસ્માતે ફેલાયો. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે કોવિડ 19 નામના કોરોના વાઈરસથી ફેલાયેલી મહામારી અંગે ચીનનો વ્યવહાર એક જવાબદાર દેશ જેવો બિલ્કુલ હતો નહીં. ચીને તેના લોકો જ નહીં પરંતુ સમગ્ર દુનિયાથી ઘણી બાબતો છુપાવી છે. ચીને વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ સમયસર સાચી માહિતી આપી ન હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા પણ વિવાદમાં ઘેરાયા છે. તેમના પર ચીનને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે તો આ સંસ્થાને અમેરિકા તરફથી મળતું ફંડિંગ પણ અટકાવી દીધું હતું. બીજી બાજુ વિશ્વ સમુદાયે હવે અગ્રતાના ધોરણે વિશ્વ આરોગ્ય સંગઠનની કામગીરીમાં સુધારો કરવો પડશે.સાથે સાથે પોતાના વીટો પાવરથી સંયુકત રાષ્ટ્રમાં મનમાની કરતાં જીદ્દી ચીનને જવાબદાર બનાવવાના પ્રયત્નો પણ કરવા પડશે. કેમ કે કોરોના વાયરસ ચીનની લેબોરેટરીમાં બન્યો હોવાની શંકાને ઘણા દેશો અને નિષ્ણાતો સાચી માની રહ્યા છે.
બધા દેશો દબાણ કરશે તો જ ચીનની સાન ઠેકાણે આવશે
દુનિયાએ ચીનને આ બાબતે પુરાવા સાથે સ્પષ્ટતા કરવા કહેવું જોઈએ કે જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે વુહાનથી ચીનના અન્ય શહેરોમાં ટ્રાફિક બંધ કરાયો હતો તો પછી ત્યાંથી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ કેમ કાર્યરત હતી? હકીકતમાં, આ સિવાય એવા કેટલાય પ્રશ્નો પણ છે જેનો જવાબ ચીનમાંથી મળવો જોઈએ. આ સરળ કાર્ય નથી, કારણ કે તે દેશ લોકશાહી પદ્ધતિમાં માનતો નથી.દુનિયાને અવગણીને ઘણી કાયમ મનમાની કરે છે.બધા દેશો ભેગા મળીને દબાણ ઊભું કરે તો જોકે તે પણ શકય છે.
લાજવાને બદલે ચીન અત્યારે ભારતીય સરહદ ઉપર ઉશ્કેરણીજનક હરકતો કરે છે
વિશ્વ સાથે સહયોગ કરવાના બદલે, ચીન કોરોના વાઈરસના મૂળની તપાસની માગણી કરતાં તમામ દેશોને સીધી અથવા આડકતરી રીતે ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીને ભારતીય સરહદ ઉપરની ઉશ્કેરણીજનક હરકતો વધારી દીધી છે. ભારતે ચીનને વધુ ગંભીરતાથી લેવો પડશે અને તેને કડક સંદેશ આપવાની પણ જરૂર છે કે તે તેની સૈન્ય અથવા આર્થિક તાકાતના જોરે ભારત જેવા દેશ સાથે મનમાની કરી નહીં શકે. ચીન પર વિશ્વાસ કરી શકાય તેમ નથી કેમ કે આ પહેલીવાર નથી જ્યારે તેની ધરતીથી ફેલાયેલી કોઈ બીમારીએ દુનિયામાં હાહાકાર મચાવ્યો હોય.