ભારત-ચીન સરહદે બંને દેશો વચ્ચે જારી તણાવ વચ્ચે ચીન ભારત પર સતત એવું દબાણ લાવી રહ્યું છે કે ભારતીય સેનાએ કબજો જમાવેલ ચુશુલ વિસ્તાર ખાલી કરે. તેની સામે ભારતે હવે ચીનને પણ કડક શબ્દોમાં કહી દીધું છે કે ચીન પેંગોંગ વિસ્તારમાંથી પોતાના સૈન્યને હટાવી દે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતનું કહેવું છે કે પેંગોંગમાં ચીનની સેના એ વિસ્તારને પાર કરીને અંદર ઘૂસી ગઇ છે, જેને ભારત લાઇન ઓફ કંટ્રોલ માને છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે ચાલી રહ્યો છે તણાવ
ચીન સતત લાવી રહ્યું છે ભારતીય સેના પર દબાણ
ભારતનો સ્પષ્ટ જવાબ, પહેલા પેંગોંગવિસ્તાર ખાલી કરે ચીન
આથી ભારતે ચીન ને તેની સ્ટાઇલમાં જવાબ આપવા સરહદે સાત સ્થળો પર અહમ પોઝિશન લઇ લીધી છે. બીજી બાજુ તાઇવાનના મામલે ભારતે સમર્થન કરતાં ચીન ભડક્યું છે. ચીની સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના તંત્રીએ સીધી ધમકી આપી દીધી છે કે જો ભારત તાઇવાનને સમર્થન આપીને રમત રમશે તો ચીન પણ પૂર્વોત્તરમાં ભારતથી સિક્કિમને અલગ કરવાની કાર્યવાહી કરી શકે છે.
"અમે ભારતથી સિક્કિમને અલગ કરી શકીએ તેમ છીએ" : ગ્લોબલ ટાઈમ્સ
ગ્લોબલ ટાઇમ્સ ના તંત્રી હુ શિજિને ટ્વિટ કર્યું છે કે જો ભારતની સામાજિક તાકાત તાઇવાનના મુદ્દે રમત રમી શકતી હોય તો ભારતને એ વાતની ખબર હોવી જોઇએ કે અમે પૂર્વોત્તર ભારતમાં અલગતાવાદી તાકાતનું સમર્થન કરી શકીએ છીએ અને સિક્કિમને ભારતથી અલગ પાડી શકીએ તેમ છીએ. આ રીતે અમે ભારતને જવાબ આપી શકીએ એમ છીએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે ચીનને જણાવી દીધું છે કે અમે સરહદે સાત મહત્ત્વનાં અને મોકાનાં સ્થળ પર કબજો જમાવી દીધો છે ત્યારથી ચીન ચુશુલમાં ભારતને હટી જવા માટે કહી રહ્યું છે. તાજેતરની લશ્કરી કમાન્ડર સ્તરની વાતચીત દરમિયાન ચીને જણાવ્યું હતું કે તે ઇચ્છે છે કે ભારતે સરહદે સાઉથમાં જે પોઝિશન લીધી છે તે ખાલી કરીને હટી જાય.
ચીન પહેલા પોતાનું લશ્કર હઠાવે : ભારત
જ્યારે ભારતનું કહેવું છે કે બંને દેશોની સેનાઓએ એકબીજાના વિસ્તારમાં જે કબજો જમાવ્યો છે ત્યાંથી બંનેએ એકસાથે પીછેહઠ કરવી જોઇએ. ભારત ઇચ્છે છે કે ચીન પોતાની સેનાને પેંગોંગ લેક વિસ્તારમાંથી તાત્કાલિક હટાવી લે, કારણ કે ચીને અહીં LAC નું ઉલ્લંઘન કર્યું છે.
ભારતે એવું પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ચીન પર હવે વિશ્વાસ રાખી શકાય તેમ નથી અને તેથી અમે કોઇ પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છીએ. સિક્કિમના મુદ્દે ભારતીય મીડિયાએ તાઇવાનના વિદેશ પ્રધાન જોસેફ વુનો ઇન્ટરવ્યૂ લીધો હતો, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તાઇવાન ક્યારેય પણ ચીનનો ભાગ હતું જ નહીં, સાથે-સાથે તેમણે વિશ્વભરના લોકોને તાઇવાનના અસ્તિત્વનો સ્વીકાર કરવા પણ અપીલ કરી હતી.
ત્યારબાદ ભારત સ્થિત ચીની દૂતાવાસે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે તાઇવાનને પ્લેટફોર્મ આપવાથી વન ચાઇના પોલિસીનો ભંગ થાય છે.