ચીન સાથે સરહદને જોડતા લિપુલેખ પાસના નિર્માણ બાદ ડ્રેગન સરહદ પર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. લિપુલેખમાં અસ્થાયી બાંધકામ તેમજ લદાખ સેક્ટરમાં ભારત દ્વારા બાંધકામ અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે. ભારતે તેની સરહદમાં 800 મીટર આગળ કેટલાક કામચલાઉ કન્સ્ટ્રકશન તૈયાર કર્યા છે, પરંતુ ચીન આ બાબત પચાવી શકતું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સૈનિકો લિપુલેખ પાસની આજુબાજુ પોતાનો ધ્વજ લહેરાવીને હંગામી બાંધકામને દૂર કરવાની ચેતવણી આપી રહ્યા છે.
પહેલા પણ ચીન કરી ચુક્યું છે આવી હરકત
ચીનના આ કૃત્ય બાદ ભારતીય સુરક્ષા એજન્સી પણ આ સરહદ પર એલર્ટ મોડમાં આવી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકોએ ઘણી વાર આવી કૃત્ય કર્યું છે. નોંધનીય છે કે લિપુલેખ પાસને પાર કર્યા પછી જ માનસરોવરના મુસાફરો અને વેપારીઓ જેઓ ભારત-ચીન વેપારમાં ભાગ લે છે તેઓ ચીનમાં પ્રવેશ કરે છે. તેથી, તેમના રોકાણ માટે, ભારતે આ લિપુલેખ પાસથી 800 મીટર આગળ અસ્થાયી શેલ્ટર બનાવ્યા છે.
ભારતે તો માનસરોવર યાત્રીઓ, ભારતીય વેપારીઓ તેમજ સૈનિકો માટે જ સરહદ પર અસ્થાયી આશ્રયસ્થાનો બનાવ્યા છે, પરંતુ ચીને લિપુલેખ સરહદથી માત્ર 200 મીટરના અંતરે ઘણા ઇલેક્ટ્રોનિક ઉપકરણો સ્થાપિત કર્યા છે. ભારતે આ અંગે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી.
દબાણ ઉભું કરવાનો પ્રયત્ન
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, જ્યારેથી લિપુલેખનો રસ્તો કાપવામાં આવ્યો છે ત્યારથી ચીની સૈનિકો સરહદ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યા છે. તે જ સમયે, ભારતીય સૈનિકો પર દબાણ લાવવાનો પણ તેમનો પ્રયાસ છે. એટલું જ નહીં, એવા વિસ્તારો માટે ચીન ભારત પર દબાણ લાવી રહ્યું છે, જે વિસ્તારો બંને દેશો વચ્ચે ક્યારેય વિવાદમાં નથી રહ્યા.
લિપુલેખ બોર્ડરની આજુબાજુના તેના ક્ષેત્રમાં ચીને પહેલાથી જ ઘણું ડેવલપમેન્ટ કર્યું છે. હવે અહીંના વિસ્તારને સડકથી જોડીને ભારતની ઈચ્છા છે કે સ્થાનિક લોકો અને સુરક્ષા એજન્સીઓ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે, પરંતુ ભારતના આ પ્રયાસો ચીનને જરાય માફક નથી આવી રહ્યા.