ચીનમાં ભયંકર એનર્જી કટોકટીના કારણે ફેક્ટરી ઉત્પાદન ઘટ્યું છે, તેનો લાભ લેવા ભારતીય કેમિકલ્સ ઉદ્યોગ સજ્જ છે.
ચીનનું કેમિકલ્સ ઉત્પાદન ઘટતાં ગુજરાતની કંપનીઓની નિકાસ વધશે
ચીનમાં એનર્જી કટોકટીના કારણે ઉત્પાદન 50 ટકા ઘટ્યું
તક ઝડપી લેવા ભારતીય કંપનીઓ તૈયાર
વિશ્વના સૌથી મોટા કેમિકલ્સ ઉત્પાદકનું ચીનમાં હાલમાં ઇન્ટરમિડિયેટ્સ અને ડાઇઝ કેમિકલ્સ ફેક્ટરીઓનું ઉત્પાદન 50 ટકા જેટલું ઘટી ગયું છે. તેના કારણે મોટાભાગની પ્રોડક્ટ્સના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારતીય ડાઇઝ ઉદ્યોગ અનેક પ્રકારના ઇન્ટરમિડિયેટ્સ રો-મટિરિયલ્સની આયાત ચીનથી કરે છે અને તેના ભાવમાં વધારો થયો છે.
આ કારણે ભારતીય કંપનીઓને વધુ ઓર્ડર મળતા થયા
ભારતીય ઇન્ટરમિડિયેટ્સ કંપનીઓએ પણ પોતાની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. તેના કારણે MSME કેમિકલ્સ કંપનીઓ માટે રો-મટિરિયલના ઊંચા ભાવ સમસ્યારૂપ બની રહ્યા છે. પરંતુ બીજી તરફ, યુરોપ અને અમેરિકા સહિતના માર્કેટ્સમાં ચીનની સપ્લાય ઓછી થવાથી ભારતીય કંપનીઓને વધુ ઓર્ડર મળતા થયા છે.
ચીનની સપ્લાય ઘટવાથી વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓ માટે તક વધીઃ શૈલેષ પટવારી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, "ચીનની સપ્લાય ઘટવાથી વૈશ્વિક બજારમાં ભારતીય કંપનીઓ માટે તક વધી રહી છે. જોકે, સ્થાનિક મોટી કંપનીઓ સ્થિતિનો લાભ લઇને પોતાની પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરે છે. તેના કારણે MSME ડાઇઝ કંપનીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર જ્યારે એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે ત્યારે તેનો લાભ પણ મોટી કંપનીઓ લેતી હોય છે અને પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારતી હોય છે. આથી સરકાર જો મહત્ત્વના રો-મટિરિયલ્સના ભાવ પર અંકુશ લગાવે તો નાની કંપનીઓને લાભ થશે."
ગુજરાત સ્થિત કંપનીઓએ ચીન પરની નિર્ભરતા ઘટાડી
ઉલ્લેખનિય છે કે, ગુજરાત ભારતનું કેમિકલ્સ હબ ગણાય છે. ભારતના કુલ ડાઇઝ ઉત્પાદનમાં ગુજરાત લગભગ 70 ટકા યોગદાન આપે છે. ગુજરાતના વાપી, અંકલેશ્વર, વટવા, નરોડા, પાદરા, નંદેસરી જેવા ક્લસ્ટર્સમાં લગભગ 2,500થી વધુ કેમિકલ્સ કંપનીઓ ધમધમે છે અને તેમાંથી 90 ટકા જેટલી MSME કંપનીઓ છે. ગુજરાત સ્થિત કંપનીઓ હવે ચીન પરની નિર્ભરતા ઘટાડી રહી છે અને ઘણી કંપનીઓએ છેલ્લાં દાયકામાં અનેક ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન પણ ચાલુ કર્યું છે.
ચીનમાં ફેક્ટરીઓ અઠવાડિયામાં મહત્તમ 2-3 દિવસ ચાલે છે
સીઆઇઆઇ ગુજરાતના ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, "ચીનમાં ફેક્ટરીઓ અઠવાડિયામાં મહત્તમ 2-3 દિવસ ચાલે છે અને તેના કારણે ચીનના ઉત્પાદનમાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે. તેનો સીધો લાભ ભારતીય કંપનીઓને મળી રહ્યો છે. ગુજરાતની અનેક કંપનીઓ પાસે હાલમાં ડિસેમ્બર મહિના સુધીના નિકાસના ફુલ ઓર્ડર આવી ગયા છે. ચીનની સપ્લાય ઘટવાના કારણે ભારતીય કંપનીઓ સારા માર્જિન સાથે વિદેશમાં નિકાસ કરી શકશે."
પોઇન્ટ્સઃ
- વિશ્વના સૌથી મોટા કેમિકલ્સ ઉત્પાદક ચીનમાં ઉત્પાદન તળિયે
- એનર્જી કટોકટીના કારણે અનેક પ્રદેશોમાં ફેક્ટરીઓ માત્ર 2-3 દિવસ ચાલુ
- ચીનમાં બનતી પ્રોડક્ટ્સના ભાવ વધ્યાં
- એચ-એસિડ, વિનાઇલ સલ્ફોન, જે-એસિડ સહિતની પ્રોડક્ટ્સના ભાવ વધ્યાં
- ભારતની કેમિકલ્સ કંપનીઓએ પણ ઇન્ટરમિડિયેટ્સના ભાવ વધાર્યાં
- એમએસએમઇ કંપનીઓ માટે ટૂંકાગાળાની સમસ્યા સર્જાઇ
- જોકે, વૈશ્વિક સપ્લાયમાં ભારતીય કેમિકલ્સનો હિસ્સો વધશે
- અનેક દેશોએ ચીનના બદલે ભારતીય કંપનીઓને ઓર્ડર આપવા શરૂ કર્યાં
- વૈશ્વિક બજારમાં કેમિકલ્સના ઊંચા ભાવનો લાભ ભારતને મળશે