પહેલી વાર ચીને ઘઉંની નિકાસ પ્રતિબંધના મુદ્દે ભારતને સપોર્ટ આપીને જી-7 દેશોની ટીકા કરી છે.
પહેલી વાર ચીને ભારતને આપ્યો સાથ
સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આપ્યો ભારતને ટેકો
ઘઉંની નિકાસ પ્રતિબંધના મુદ્દે ભારતને સપોર્ટ
જી-7 દેશોએ ઘઉં નિકાસ પ્રતિબંધ બદલ ભારતની કરી હતી આકરી ટીકા
ભારત જેવા વિકાસશીલ દેશોને દોષી ઠેરવવાથી વિશ્વના અન્ન સંકટનો ઉકેલ નહીં આવે-ગ્લોબલ ટાઈમ્સ
કદાચ પહેલી વાર ચીને ભારતને સપોર્ટ આપ્યો છે. સામાન્ય રીતે તો ચીન હમેંશા ભારતનો વિરોધ કરતું આવ્યું છે. ચીને સોમવારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધના મુદ્દે ભારતનું સમર્થન કર્યું હતું અને ભારતના આ પગલાની ટીકા કરતા જી-7 દેશોને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીને કહ્યું કે ભારત જેવા વિકાસશીલ દેશોને દોષી ઠેરવવાથી વિશ્વનું અન્ન સંકટ હલ નહીં થઈ શકે. ગત સપ્તાહે ભારત સરકારે દેશમાં વધી રહેલા ફુગાવાને અંકુશમાં લેવાના હેતુસર ઘઉંની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતના આ પગલાંની જી-7ના દેશોએ આકરી ટીકા કરી હતી.
ભારત પર આરોપ લગાવીને વિશ્વના ખાદ્ય સંકટનો ઉકેલ નહીં આવે-ચીન
ભારતના આ નિર્ણય બાદ G7ની આકરી ટીકા થઈ હતી. હવે દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોની ટીકા વચ્ચે ચીન ભારતને ટેકો આપવા આવ્યું છે. ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે વૈશ્વિક ખાદ્ય સંકટનો ઉકેલ ભારત પર આરોપ લગાવીને નહીં થાય. ગ્લોબલ ટાઇમ્સે એમ પણ લખ્યું છે કે હવે સંકટના આ સમયે જી7 ભારતને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ન મૂકવાની અપીલ કરી રહ્યું છે, તો શા માટે જી-7 દેશો પોતે વધેલા ખાદ્ય પુરવઠામાં તેમની નિકાસને સંતુલિત કરી શકતા નથી.
વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો ખૂબ જ ઓછો- ગ્લોબલ ટાઈમ્સ
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો ખૂબ જ ઓછો છે. વિશ્વમાં ઘઉંના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત ચોક્કસપણે બીજા ક્રમે આવે છે, પરંતુ વૈશ્વિક ઘઉંની નિકાસમાં તેનો હિસ્સો ખૂબ જ ઓછો છે. બીજી તરફ અમેરિકા, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના કેટલાક વિકસિત અર્થતંત્રો વિશ્વમાં ઘઉંના સૌથી મોટા નિકાસકાર દેશ છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે કેટલાક પશ્ચિમી દેશો વૈશ્વિક ખાદ્ય સંકટને કારણે તેમની નિકાસ ઘટાડવાનો નિર્ણય લે છે, તેથી જ્યારે કોઈ દેશ તેના ખાદ્ય પુરવઠાને સુરક્ષિત રાખવા માટે દબાણનો સામનો કરી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓ ભારતની ટીકા કેવી રીતે કરી શકે.
શું લખ્યું ગ્લોબલ ટાઈમ્સે
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં નીચેની બાબતો લખી
ભારત પર દોષનો ટોપલો ઢોળીને દુનિયાના ખાદ્ય સંકટનો ઉકેલ નહીં આવે
મોટી વસતીને અનાજ આપી રહેલા ભારતની ટીકા કરવાની શું જરુર
ભારત જેવા વિકાસશીલ દેશને દોષ ન આપી શકાય
ભારત મોટો ઉપભોક્તા દેશ, તેણે અનાજ સંકટનો ઉકેલ લાવવા પગલાં ભર્યાં છે. શનિવારે ભારતે ઘઉંની નિકાસ પર મૂક્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે શનિવારે, ભારત સરકારે એક પ્રેસ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકીને ખાદ્ય પદાર્થોના ભાવોને નિયંત્રિત કરશે. જો કે, ભારતે કહ્યું છે કે તે એવા દેશોને નિકાસની મંજૂરી આપશે કે જેઓ તેમના પુરવઠાને પહોંચી વળવા વિનંતી કરે છે. ભારતના આ નિર્ણય બાદ જર્મનીએ કહ્યું હતું કે આ પ્રકારના પગલાથી વૈશ્વિક ખાદ્ય સંકટ વધુ ઘેરું બનશે.
G-7 દેશોએ ઘઉંની નિકાસ પર પ્રતિબંધના મુદ્દે ભારતની ટીકા કરી હતી
G-7 દેશોએ ભારત સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર રોક લગાવાની ટીકા કરી હતી. સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપના કૃષિ મંત્રીઓએ શનિવારે ભારતના આ નિર્ણયની ટીકા કરી હતી. જર્મન કૃષિ મનંત્રી કેમ ઓઝડેમિરે સ્ટટગાર્ટમાં એખ પ્રેસ કોન્ફ્રેંસમાં કહ્યું કે, જો કોઈ નિકાસ પ્રતિબંધ અથવા બજાર બંધ કરવાનું શરૂ કરી દેશે, તો તેનાથી સંકટ વધારે ખરાબ થશે. આપને જણાવી દઈએ કે, જી 7 દેશોમાં બ્રિટેન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટલી, જાપાન અને અમિરાક સામેલ છે. G7 ઔદ્યોગિક રાષ્ટ્રોના મંત્રીઓએ વિશ્વભરના દેશોને ઉત્પાદન બજારો પર વધુ દબાણ લાવી શકે તેવા પ્રતિબંધિત પગલાં ન લેવા વિનંતી કરી. ઓઝડેમિરે કહ્યું, "અમે ભારતને જી20 સભ્ય તરીકે તેની જવાબદારી સ્વીકારવા માટે આહ્વાન કરીએ છીએ." કૃષિ મંત્રી જૂનમાં જર્મનીમાં યોજાનારી G7 સમિટમાં આ વિષયને સંબોધિત કરવાની ભલામણ કરશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.