કોરોનાની ત્રીજી લહેર આવશે જેને ધ્યાનમાં રાખીને અમદાવાદની સોલા સિવિલે નાના બાળકોને કોરોના થશે તો ટ્રીટમેન્ટ મળી રહે તે માટેની સંપુર્ણ તૈયારીઓ કરી લીધી
ત્રીજી લહેર માટે સોલા સિવિલ તૈયાર
બીજી લહેરમાંથી માંડ મળી છે મુક્તિ
બાળકો માટેનો સ્પેશિયલ વોર્ડ કરાયો ઉભો
કોરોનાની બીજી લહેર લગભગ પૂર્ણતાના આરે છે અને હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓ મુક્ત થઈ છે. ત્યારે અત્યારથી જ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર આવશે જેને ધ્યાનમાં રાખીને સોલા સિવિલે નાના બાળકોને કોરોના થશે તો ટ્રીટમેન્ટ મળી રહે તે માટેની સંપુર્ણ તૈયારીઓ કરી લીધી છે. સોલા સિવિલમાં 25 બેડનો પીડિયાટ્રીક ICU વોર્ડ ઉભો કરાશે. નવા વેન્ટીલેટર માટે પણ સોલા સિવિલે સરકાર પાસે માંગણી કરી છે અને ત્રીજી વેવમાં લોકોને સારી સારવાર મળી રહે તેની સંપુર્ણ તૈયારીઓથી હોસ્પિટલ સજ્જ થઈ ચુકી છે.
અમદાવાદમાં ઋતુજન્ય રોગોમાં વધારો થયો છે. સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઇન લાગી છે. કેસબારી અને દવા બારી પર લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. લોકો કેસ કઢાવવા માટે 2 કલાક સુધી ઉભા રહે છે. અમદાવાદમાં ઝાડા-ઉલટી, તાવ સહિત મેલેરિયાના કેસો વધી રહ્યા છે. શરદી અને સાદો તાવ આવવાના કેસમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે રોગચાળો વકર્યો છે. અને એક જ સપ્તાહમાં મેલેરિયાના 10 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી વેવને લઈ એડિશનલ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રજનીશ પટેલે નિવેદન આપ્યું છે. ડૉ. રજનીશ પટેલે કહ્યું કે, થર્ડ વેવની સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પણ ત્રીજી વેવ લાવવી કે નહીં તે જનતા પર છે, જો જનતા નિયમોનું પાલન કરશે તો થર્ડ વેવને કાપી શકીશું. જાહેર જનતાની પણ જવાબદારી છે કે માસ્ક પહેરે, જનતા નિયમોનું પાલન નહિ કરે તો ત્રીજી વેવ નક્કી છે.
બોન્ડેડ ડૉક્ટરોને ફરજ પર હાજર થવા આદેશ
અમદાવાદમાં ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી. કોવિડ કેસ ઘટતા હવે ત્યાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા એવામાં હવે ત્યાં ફરજ પર રહેલા ડોકટરોને ડેપ્યુટેશન પર મુકવામાં આવી રહ્યા છે. જેમાંથી 38 ડોકટરને અમદાવાદ જિલ્લા વિસ્તારમાં ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે. જેથીએ તમામ ડોકટર હાજર થયા હતા. એ તમામને હવે જિલ્લાના અલગ અલગ PHC CHC સેન્ટર પર મુકવામાં આવશે. હાલમાં જિલ્લા વિસ્તારમાં રસીકરણ સિવાય અન્ય આરોગ્યલક્ષી કામગીરી પણ ચાલી રહી છે.
ત્યારે આ તમામ ડોકટરને જિલ્લાના અલગ અલગ સેન્ટર પર મુકવામાં આવશે અને તેમની પાસે આ કામગીરી કરવામાં આવશે. આ તમામ ડોકટર બોન્ડેડ ડોકટર છે, જેને કોવિડ બીજી લહેર દરમિયાન તમામને ફરજિયાત હાજર થવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ડોકટરની જરૂરિયાત ઉભી થશે ત્યારે તેમને કોવિડમાં ડ્યુટી સોંપવામાં આવશે. ત્યાં સુધી અન્ય સ્થળ પર ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે.