જૂનાગઢ જિલ્લાના બંટીયા ગામે શાળાના જૂના ઓરડા તોડી પાડયાને બે થી ત્રણ વર્ષ વીતવા બાદ પણ નવા રુમ ન બનતા બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે.
જૂનાગઢના બંટીયા ગામના બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર
ઓરડા તોડ્યાને 3 વર્ષ બાદ પણ નવી શાળા ન બની
ગ્રામજનોએ કરી શાળાને તાળાબંધી
આજે સમગ્ર રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને શાળાઓની સુવિધાઓ અને સ્થિતિનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના બંટીયા ગામની એક શાળા પણ ચર્ચામાં આવી છે. જેમાં શાળાનું બાંધકામ નવું કરવામાં આવશે. તેમ જણાવી શાળાના જૂના બંધાકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું, જેને બે વર્ષ વીતવા છતાં આજે પણ શાળાનું નવું બાંધકામ કરવામાં ન આવતા બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે. જે ને લઇને આજે વાલીઑએ શાળાને તાળાંબંધી કરી હતી.
બાળકો ક્યારેક ખુલામાં, તો ક્યારેક પંચાયત ઘરમાં અભ્યાસ કરવા મજબૂર
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંટીયા ગામે સરકારી શાળા નવી બનશે તેવી આશા આપીને બે વર્ષ પહેલા જૂના રૂમોનું ડિમોલિશન કરી નાખવામાં આવ્યું હતું. પરંતુ તે રૂમ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજ સુધી નવા બાંધકામનું કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઇને હવે બાળકો ક્યારેક ખુલામાં, તો ક્યારેક પંચાયત ઘરમાં, તો ક્યારેક સમાજવાડીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં એક રૂમ બચ્યો છે. જેમાં કેટલાક બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચોમાસામાં રૂમની છતમાંથી પાણી ટપકે છે અને શોર્ટ સર્કિટનો ભય રહે છે. આથી બાળકોને મુશ્કેલીનો કોઇ પાર નથી.
શાળાના પ્રાંગણમાં જ સરપંચ સાથે આગેવાનોએ ધરણા યોજ્યા
આ મામલે ગ્રામજનોનું કહેવું છે કે, તેમણે ગામમાં શાળાના બિલ્ડિંગની જરૂરિયાત વિશે છેક ગાંધીનગરમાં શિક્ષણસચિવ, શિક્ષણમંત્રી અને સ્થાનિક સ્તરે ડીપીઓ, ટીપીઓ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ગ્રામજનોએ તંત્રનું ધ્યાન ખેંચવા માટે શાળાને તાળાબંધી કરી હતી અને શાળાના પ્રાંગણમાં જ સરપંચ સાથે આગેવાનોએ ધરણા યોજ્યા હતા. આગેવાનો અને વાલીઓએ શાળાના કેમ્પસમાં જ ધરણા યોજી સૂત્રોચ્ચારો કર્યા હતા.