CBSEએ નંબરની જગ્યાએ ગ્રેડ લાગુ કરી દીધા છે, પરંતુ તેના લીધે તો સંઘર્ષ વધુ વધી ગયા છે. જેના કારણે બાળકોનું આગળનું એડમિશન, ભવિષ્ય અને જીવન નક્કી થાય છે.
વધુ માર્ક્સ લાવવાની હરીફાઇમાં પીસાતાં બાળકો
સરકાર દર વર્ષે રિપોર્ટમાં ડ્રોપ આઉટની વધતી સંખ્યા પર વ્યક્ત કરે છે ચિંતા
જોકે ક્યારેય કોઇએ એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી કે આવું કેમ બની રહ્યું છે
જે ઘરમાં બાળકો છે, તે ઘરોમાં અજીબ પ્રકારનો તણાવ છે. સવારથી લઇને મોડી રાત સુધી સ્કૂલનાં બાળકોના ખભા પર દફતર લટકાવેલું હોય છે અને તેઓ આમથી તેમ ભાગતાં હોય છે. અત્યારે તો બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે. કહેવા માટે તો CBSEએ નંબરની જગ્યાએ ગ્રેડ લાગુ કરી દીધા છે, પરંતુ તેના લીધે તો સંઘર્ષ વધુ વધી ગયા છે. જેના કારણે બાળકોનું આગળનું એડમિશન, ભવિષ્ય અને જીવન નક્કી થાય છે.
દબાણ, સંઘર્ષ અને તેની વચ્ચે પીસાતાં કિશોરો
વધુ નંબર લાવવાની હોડ, દબાણ, સંઘર્ષ અને તેની વચ્ચે પીસાતાં કિશોરો. હજુ હમણાં જ બાળપણમાંથી બહાર આવ્યાં છે અને પહેલો અનુભવ જ આટલો ખરાબ. દુનિયા શું આટલી જ ગળાકાપ હરીફાઇઓથી ચાલે છે? એક બાજુ કોલેજોમાં એડમિશન માટે હરીફાઇ. તો બીજી બાજુ હાયર સેકન્ડરીમાં તમારી પસંદગીના વિષયો લેવા માટે પણ આ માર્ક્સની હરીફાઈ?
બાળકોમાં માર્ક્સની આ હરીફાઇના લીધે જ ખોટી આદતો વિકસી રહી છે
શું કોઇ બાળકની યોગ્યતા, ક્ષમતા અને બુદ્ધિમત્તાનું મૂલ્યાંકન માત્ર આંકડાઓથી જ કરી શકાય? એ પણ એવી પરીક્ષાઓ જેનું ખુદનું અસ્તિત્વ શંકાસ્પદ છે. તે અલગ ચર્ચાનો વિષય છે. મૂલ્યાંકનનો આધાર તો બાળકોની યોગ્યતા ન હોઇને તેની નબળાઈ છે
આ એક નકારાત્મક વિચાર છે, જેના કારણે બાળકોમાં આત્મહત્યા, પરીક્ષાના પેપરો ખરીદવા-વેચવા જેવી પ્રવૃત્તિઓ, કોપી કરવાની, જુઠ્ઠું બોલવાની, ચોરી કરવાની વૃત્તિ જન્મે છે. બાળકોમાં માર્ક્સની આ હરીફાઇના લીધે જ ખોટી આદતો વિકસી રહી છે. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય આ નંબરોની હરીફાઇમાં ગુમ થઇ ગયો છે.
બાળકો માટે સ્કૂલના દફતરના ભાર કરતાં પણ વધુ ભારે છે સમજી ન શકવાનો ભાર
પ્રાઇમરી શાળાઓમાં શીખવાની સતત નીરસ થતી જતી પ્રક્રિયાના લીધે બાળકો પર અભ્યાસના બોજને ઘટાડવાના ઇરાદે માર્ચ ૧૯૯૨માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દેશના આઠ શિક્ષણવિદોની એક સમિતિ બનાવી હતી, જેનું નેતૃત્વ પ્રોફેસર યશપાલ કરી રહ્યા હતા. સમિતિએ દેશભરની ઘણી સંસ્થાઓ અને લોકોનો સંપર્ક કર્યો અને જુલાઇ ૧૯૯૩માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો.
તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે બાળકો માટે સ્કૂલના દફતરના ભાર કરતાં પણ વધુ ભારે છે સમજી ન શકવાનો ભાર. સરકારે ભલામણોને સ્વીકારી પણ ખરી અને એક વખત તો લાગ્યું હતું કે તેને લાગુ કરવા માટે પગલાં પણ ભરાશે, પરંતુ હજુ તેમ થયું નથી. બે વર્ષ પહેલાં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ બાળકોના કૌશલ્યનાં મૂલ્યાંકન પર અનેક વાતો કહેવાઇ, પરંતુ હાલમાં તો તેનો અમલ થતો દેખાઇ રહ્યો નથી.
ગળાકાપ હરીફાઇના લીધે કેટલાંય બાળકો કુંઠિત થઇ ગયાં છે
પરીક્ષાનું વર્તમાન સ્વરૂપ શિક્ષણના રસ્તામાં સૌથી મોટું વિધ્ન લાગી રહ્યું છે. સામૂહિક ગતિવિધિઓને પ્રોત્સાહિત કરાવી જોઇએ તેના બદલે એકથી દસનાં ધોરણમાં ક્લાસમાં અવ્વલ આવવાની ગળાકાપ હરીફાઇના લીધે કેટલાંય બાળકો કુંઠિત થઇ ગયાં છે. હાયર સેકન્ડરીના રિઝલ્ટ બાદ બાળકો આત્મહત્યા કરે તેવા કિસ્સાઓ દેશમાં વધી રહ્યા છે. આ શું છે? શું કોઇએ આ વિશે વિચાર કર્યો છે કે આપણે બાળકોને કયા રસ્તે લઇ જઇ રહ્યા છીએ? પરીક્ષા અને તેના પરિણામો એક ભયાનક સપનાં સમાન બનતા જાય છે, જે બાળકોના નૈસર્ગિક વિકાસમાં બાધારૂપ છે.
પાયાના પરિવર્તનથી શિક્ષણ જગતમાં પણ પરિવર્તન આવે
સરકાર દર વર્ષે પોતાના રિપોર્ટમાં ડ્રોપ આઉટની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરે છે. જોકે ક્યારેય કોઇએ એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી કે આવું કેમ બની રહ્યું છે. પોતાની પસંદગીના વિષયો કે પસંદગીની સંસ્થાઓમાં પ્રવેશ ન મળવાના કારણે કેટલાય લોકોનું ભાવિ કચડાઇ જાય છે. નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો અવાજ એ હતો કે દરેક વ્યક્તિને સમાન તકો મળે, એકબીજા વચ્ચેના ખાડા દૂર કરવામાં આવે અને પાયાના પરિવર્તનથી શિક્ષણ જગતમાં પણ પરિવર્તન આવે.
આઝાદી બાદ આપણી સરકારોએ શિક્ષણ વિભાગને ક્યારેય ગંભીરતાથી લીધો જ નથી. તેમાં એટલા બધા પ્રયોગો થયા છે કે આમ આદમી સતત કુંઠિત દિમાગનો બનતો ગયો. આપણે ગુણાત્મક નજરથી પાછળ ચાલ્યા ગયા અને માત્રાત્મક વૃદ્ધિ પણ થઇ નથી. આ રીતે જોઇએ તો શિક્ષણ પ્રણાલીનો ઉદ્દેશ્ય અને પાઠ્યક્રમના લક્ષ્યો એકબીજા સાથે ઉલઝી ગયા અને એક ગફલત જેવી પરિસ્થિતિ ઊભી થઇ ગઇ. શિક્ષણ હોય કે સ્કૂલ એક અભ્યાસક્રમને પૂરો કરવાની ઉતાવળ, ક્લાસમાં બ્લેક બોર્ડ પ્રશ્નોને હલ કરવાની હરીફાઇમાં લોકો ગોઠવાઇ ગયા.