સુરતઃ હાલમાં લોકો પોતાના બાળકોને ભણાવવા માટે ખાનગી શાળામાં મોકલતા હોય છે. ત્યારે સુરતમાં અલગ જ કિસ્સો જોવા મળ્યો છે. સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં એડમિશન લેવા માટે લોકો પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી નિકાળીને સરકારી સ્કૂલમાં મોકલે છે. ઉત્રાણ વિસ્તારમાં આવેલી મહારાજ કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં જૂન 2019માં પ્રવેશ લેવા માટે અત્યારથી જ લોકોની લાઈનો લાગી છે. સરકારી શાળામાં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓની લાઈન લગી હતી.
મળતી માહિતી મુજબ આ શાળા 2 વર્ષે પહેલા જ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરવા માટે લોકોને હજારો રૂપિયા ખર્ચવા પડે છે. ત્યારે હવે સરકાર દ્વારા અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરાતા વાલીઓ પોતાના બાળકોને આ સ્કૂલમાં અભ્યાસ કરાવે છે. આ સ્કૂલમાં હજી પણ 800 જેટલા વિદ્યાર્થીનુ એડમિશન પેન્ડિંગ છે. તેમ છતા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે સ્કૂલે પહોંચ્યા હતા.
ગત વર્ષમાં આ શાળામાં 800 જેટલું વેઇટિંગ હતુ જે આ વર્ષે વધ્યુ છે. શા માટે વાલીઓ આ શાળામાં એડમિશન લેવા પડાપડી કરે છે.
આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ આપવાની વાત કરવામાં આવે તો હાઇટેક શિક્ષણ છે. રમવા માટે સરસ મેદાન છે. બાળકોને સર્વાંગી વિકાસ કરવા માટે ક્વોલીફાઇડ સ્ટાફની સુવિધા છે. આ ઉપરાંત અહીં બાળકોને રમવા માટે જૂની પરંપરાગત રમતો પણ છે. જેવી કે ભમરડા લખોટી લંગડી ખોખો જેવી રમતો રમાડવામાં આવે છે. આજના મોબાઇલ અને કોમ્પ્યુટરના યુગમાં બાળકો શારીરિક રમતો નથી રમતા તેને લઇને બાળકોને આ રમતો શીખવાડવામાં આવે છે. તેથી જ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ તલપાપડ થઇ રહ્યા છે.
અહીં બાળકો શિક્ષકને સાહેબ કે મેડમ નથી કહેતા તેઓ શિક્ષકને ગુરૂજી અને દીદી કહીને બોલાવે છે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે મહિના દરમિયાન કોઇની પણ વર્ષગાંઠ હોય તો તે દિવસે તમામ વિદ્યાર્થીઓના માતાપિતાને બોલાવી એક હવન કરવામાં આવે છે. માતૃપિતૃ પૂજન દાદા-દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો થકીથી બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આ થકીથી બાળકોમાં સારા સંસ્કાર આવે છે. હવે સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારનો કોન્સેપ્ટ અન્ય શાળાઓમાં પણ દાખલ કરવા જઇ રહી છે.
સુરત ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળામાં વાલીઓ જ્યારે એડમિશન લેવા માટે આવી રહ્યા છે. ત્યારે ખરેખર આ શાળા જેવી બીજી શાળાઓ પણ ભણતરથી લઇ રમત સુધીની પદ્ધતિ દાખલ કરે તો ખાનગી શાળાઓની શાન ઠેકાણે આવી શકે એમ છે.