સુરતમાં એવા બે બાળકો સામે આવ્યા કે, જેમણે કોરોનાકાળમાં લોકોની મદદ માટે પોતાની પીગી બેંકમાં જમા થયેલી તમામ રકમ લોકોની મદદ માટે આપી દીધી
સુરતમાં બે નાના ભૂલકાઓની કોરોના માટે લોકસેવા
જન્મદિવસે ભેટ લેવાને બદલે લોકસેવામાં આપી ભેટ
તામજામ નહીં લોકોની મદદ દ્વારા ઉજવણી
વાત કરવી છે. નાનકડા દિમાગની વિશાળ વિચારસરણીની. કોરોના કાળમાં અનેક લોકો અને સંસ્થાઓને લોકોની મદદ કરતા તો જોયા હશે. પરંતુ સુરતમાં એવા બે બાળકો સામે આવ્યા છે. જેમણે કોરોના કાળમાં લોકોની મદદ માટે પોતાની પીગી બેંકમાં જમા થયેલી તમામ રકમ લોકોની મદદ માટે આપી દીધી. અંદાજીત 41 હજાર રૂપિયા લોકસેવા માટે આપી દીધા છે.
સુરતના બે નાના ભૂલકાઓએ સાબિત કરી બતાવ્યું છે. તમને નવાઈ લાગશે પરંતુ 11 વર્ષના આદિત્ય અને છ વર્ષની અનન્યાએ પિતાની સેવા જોઈ પોતે પણ આ ઉંમરે કોરોનામાં કઈ રીતે સેવા કરી શકે તેવો ભાવ જાગ્યો છે. અને કોરોના દર્દીઓની સારવાર માટે પોતાનાથી બનતો એક નાનકડો પ્રયાસ હાથ ધર્યો. જેમાં પોતાના પીગી બેંકમાં જમા થયેલ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવા તેમણે પોતાના પિતાને જણાવ્યું. આ ઉંમરમાં બાળકોની રજૂઆત સાંભળી પિતા પણ અશ્ચર્યસચકિત થઈ ગયા. પરંતુ સવાલ એ હતો કે, બાળકોની પીગી બેંકમાંથી કેટલા રૂપિયા નિકળશે અને કેવી રીતે તેનાથી કોરોનાના દર્દીઓની સારવાર થઈ શકે? પરંતુ જ્યારે પિતાએ બાળકોની પીગી બેંક ખોલી તો તેમાંથી 41 હજાર રૂપિયા નિકળ્યા. અને બંને બાળકોએ આ રૂપિયા પોતાના પિતાને આપી દીધા.
મહત્વનું છે કે, બંને બાળકોના પિતા ગૌતમ સિરોહા મૂળ ડોક્ટર અને ટેક્સટાઇલ વ્યાપાર સાથે સંકળાયેલા છે. કોરોનાની બીજી લહેરમાં ગૌતમભાઈ આઇસોલેશન સેન્ટરમાં ડોક્ટરની સેવા આપી રહયા હતા. સુરતના જુદા જુદા વિસ્તારમાં સેવા સામાજિક સંસ્થા અંતર્ગત કોરોના દર્દીઓની સારવાર માટે આઇસોલેશન સેન્ટર ચાલી રહયા હતા. જેમાં ગૌતમભાઈ દર્દીઓની સારવાર માટે સેવા કરી રહ્યા છે. પિતાની આ પ્રકારની સેવા જોઈ તેમના બાળકોને પણ કંઈક રીતે સેવા કરવાનો ભાવ ઉઠ્યો હતો.
ત્યારે નાની દીકરી અનન્યાનો જન્મદિવસ આવી રહ્યો છે અને આ જન્મદિવસ નિમિત્તે અનન્યાએ અને તેના ભાઈએ પિતાને જન્મદિવસ નહિ ઉજવી પોતાના પીગી બેંકમાં જમા રૂપિયા કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા રજૂઆત કરી હતી. ત્યાર બાદ ગૌતમભાઈએ પોતાના બાળકોની પીગી બેંકના પૈસામાંથી માસ્ક, સેનેટાઈઝર અને ગાર્ગલ માઉથ વોશ ખરીદી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું.