શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પ્રેગ્નેટ મહિલા પોતાની પ્રસુતિ કરાવવા કોઈ હોસ્પિટલમાં જાય અને તેના બાળકને કુતરા તાણી જાય? હા આવીજ એક માનવતાને લજવતી ઘટના સામે આવી છે પાટણના રાધનપુર શહેરની જ્યાં એક હોસ્પિટલની બેદરકારીના લીધે એક માતાને પોતાના વ્હાલ સોયા દીકરાની લાશ પણ નસીબ નથી થઇ.
પાટણ જીલ્લાના રાધનપુરની ચકચારી ઘટનાની વાત કરીએ તો રાધનપુરના ભાભર રોડ પર આવેલ આસ્થા હોસ્પિટલમાં તા.૧૪/૫/૨૦૧૮ના રોજ એટલે કે ગઈ રાત્રીના ત્રણ વાગ્યે સલમાબેન બેલીમ નામની મહિલાને પ્રસુતિની વેદના ઉપાડતા રાધનપુરની જાણીતી આસ્થા હોસ્પિટલ દાખલ થયા હતા.
આસ્થા હોસ્પિટલમાં તેઓને એક પુત્રની નોર્મલ ડીલેવરી થવા પામી હતી. પીડિત મહિલાના જણાવ્યા અનુસાર આ ડીલેવરી બાદ તેને બાળક દુરથી બતાવવામાં આવ્યું હતું. ત્યારે મહિલા અર્ધ બેભાન હાલતમાં હતી.
જયારે મહિલા ભાનમાં આવી ત્યારે તેને જણાવવામાં કે આપનું સંતાન મૃત હાલતમાં છે. મહિલાએ તેના પુત્રની લાશને માંગતા હોસ્પિટલ ના સત્તાધીસો એક બીજાને ખો આપતા થઇ ગયા હતા અને મહિલાને ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું કે તમારા બાળકની લાશને બાળી કાડવામાં આવી છે. તો વળી બાળકની લાશને કુતરા ખેંચી ગયા છે અમે લાશ શોધી રહ્યા છે પણ મળતી નથી આવી વાત પણ કરી હતી.
આવી વાતો સાંભળી પીડિત પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે ભોગ બનેલ મહિલાને છ દીકરીઓ ઉપર આ પુત્રનો જન્મ થયો હતો જેના આવા દુ:ખદ સામચાર પરિવાર ઉપર આભ ફાટ્યા સમાન હતું.
જોકે હોસ્પિટલ દ્વારા અલગ અલગ નિવેદન આવતા પરિવારે આસ્થા હોસ્પિટલ ઉપર બાળકની તસ્કરી થઇ હોવાનો આરોપ લગાવ્યો હતો અને રાધનપુર પોલીસ મથકે હોસ્પિટલ વિરુધ્ધ ફારીયાદ નોંધાવી હતી.
પીડિત મહિલા સલમાબેન બેલીમ રાધનપુરના લીમડીવાસમાં રહે છે તેઓને આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા તેણે ન્યાયની બુહાર લગાવી છે.
પીડિત મહિલા સહીત તેના પરિવારના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં પહેલા પણ આવી ગંભીર બેદરકારીઓ સામે આવી છે. પીડિત પરિવારે આસ્થા હોસ્પિટલના સંચાલક ડોકટર દેવજી પટેલ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે અહી બાળકોને સારા ઘરના લોકોને વહેંચી મારવામાં આવે છે. જેથી અમારા કિસ્સામાં પણ બાળકની તસ્કરીની સંભાવના રહેલી છે.
પીડિત પરિવારના સબંધીઓનો રોષ જોતા હોસ્પિટલના સત્તાધીસોએ તાત્કલિક પોલીસને બોલાવી દીધી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસને પણ આશ્ચર્ય થયું હતું.
આ સમગ્ર ઘટનામાં મુખ્ય આરોપી મહિલા ડોક્ટર મીના પ્રજાપતિ આ ઘટના થયા બાદ તરત હોસ્પિટલ માંથી ફરાર થઇ ગયા હતા. જોકે મૃતક બાળક ક્યા છે તેવા પુંછાયેલ મીડિયાના સવાલના જવાબમાં ડોકટર દેવજી પટેલે કહ્યું હતુ કે આમારી હોસ્પિટલની જવાબદારી હતી છતાં પણ બાળકને કુતરા કે બિલાડી બાળકને લઇ જવાથી અમને બાળક મળતું નથી એવો ગળેના ઉતરે તેવો જવાબ મીડીયાને આપ્યો હતો.
જોકે આ ચકચારી ઘટનામાં ભોગ બનેલ મહિલા ડોક્ટર તેમજ પોલીસ તમામ જુદાજુદા નિવેદનો આપી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા અલ્પેશ ઠાકોરે પણ પીડિત પરિવાર ન્યાય મળે તે માટે ભુજ રેંજ આઈજીને તટસ્થ તપાસની માંગ કરી છે.
જોકે આ સમગ્ર ઘટનાને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે જેના પર આરોપ લાગ્યા છે તે આસ્થા હોસ્પિટલના સંચાલક રાધનપુરમાં ભાજપના એક આગેવાન નેતા છે તેઓના સબંધ પ્રદેશ ભાજપ સાથે સંકળાયેલા હોવાના લીધે પરિવારને ન્યાય મળવો ધૂંધળો દેખાઈ રહ્યો છે.