નર્મદામાં કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31 ઓક્ટોબરના રોજ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આથી આવતી કાલે એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉજવણીમાં PM મોદી હાજર રહેશે. જેને લઈને આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. ત્યારે અહીં વિશ્વનું સૌથી મોટુ સફારીપાર્ક નિર્માણ પામી રહ્યું છે સાથે કેવડિયા ખાતે 8 એકર જમીનમાં રૂ.30 કરોડના ખર્ચે ચાઈલ્ડ ન્યુટ્રીશિયન પાર્ક બનાવાયું છે. અહીં સરકાર કુપોષણ નિવારણનો સંદેશ આપશે.
31 ઓક્ટોબરે પીએમ મોદી નર્મદાની મુલાકાતે
કેવડિયા ખાતે રૂ.30 કરોડના ખર્ચે ચાઈલ્ડ ન્યુટ્રીશિયન પાર્ક બનાવાયું
વિશ્વનું સૌથી મોટું સફારીપાર્ક નિર્માણ પામી રહ્યું છે
સફારી પાર્કમાં 1000થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ લવાયા
કૂપોષણનો ડામ આજે પણ રાજ્ય સહિત દેશભરમાં જોવા મળી રહ્યો તેમ લાગી રહ્યું છે કેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભલે વિશ્વ ફલક પર સ્થાન આપવાની કોશિશ કરવામાં આવી રહી હોય પરંતુ અહીં પણ બાળકોને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તે પ્રકારની માહિતી આપતું એક ચાઈલ્ડ ન્યુટ્રીશિયન પાર્ક બનાવાયું છે. રૂ. 30 કરોડના ખર્ચે 8 એકર વિસ્તારમાં બનાવાયેલા આ પાર્કમાં બાળકોના સ્વાસ્થ્ય તેમજ ખોરાકને લગતી તમામ બાબતોથી માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો છે.
ભારતમાં હાલ 38% કુપોષણ જોવા મળી રહ્યું છે ત્યારે વર્ષ 2023 સુધી કુપોષણનું પ્રમાણ ઘટાડીને 25% સુધી લઈ જવાનો સંકલ્પ સરકારે કર્યો છે અને તે માટે સહી પોષણ દેશ રોશન અભિયાન વડાપ્રધાન મોદીએ ચલાવ્યું છે. આ અંતર્ગત કેવડિયા કોલોની ખાતે પોષણ થીમ આધારિત મનોરંજન સાથે વિશ્વનાં ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંયા ટોય ટ્રેઇન મારફતે અલગ અલગ સ્ટેશન પર બાળકોને ફેરવવામાં આવશે. પ્રથમ સ્ટેશન હશે એકતા સ્ટેશન જ્યાંથી પોષણ સ્વરૂપ સફરની શરૂઆત પણ કરાશે જે ટ્રેન વિવિધ સ્ટેશનો પર ઊભી રહેશે કે જ્યાં બાળકોના પોષણને લગતી માહિતી લોકો મેળવી શકશે. અહીં ખાસ કરીને કોઈ પણ ફળ કે અનાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તે ઉત્પન્ન કરવાની પદ્ધતિ કેવી હોય છે ? વગેરે અંગે માહિતી આપવામાં આવશે. ચિલ્ડ્રન પાર્ક 5 ઝોનમાં ફેરવાયું છે. આ તમામ સ્થળો પર જવા માટે મિની ટ્રેનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
7 સ્ટેશનો પર ઊભી રહેશે ટ્રેન
એક્તા જંક્શન
ન્યુટ્રિ હન્ટ
પયોનગરી
અન્નપુર્ણા
મનોરંજન
પોષણપુરમ
સ્વસ્થ ભારત
વિવિધ જંક્શનોમાં બાળકો માટે ગેમ ઝોન હશે કે જ્યાં બાળકોને વિવિધ ગેમ મારફતે પોષણનું જ્ઞાન પીરસવામાં આવશે. પયોનગરી કે જયાં ગાય અને ભેશના દૂધથી થતા ફાયદા ગણાવવામાં આવ્યા છે. ચોથા સ્ટેશનમાં ઘરે બનાવાયેલા ભોજન પર ભાર મૂકતું હોય તે અંગેની વિગતો આપવામાં આવે છે એટલે આ સ્ટેશનનું નામ અપાયુ છે અન્નપુર્ણા સ્ટેશન. આ સ્ટેશનનાં નામ રાખવા પાછળનું મહત્વ એ છે કે કુપોષણથી પોષણ તરફ ગતિ કરવી એ મુજબ આખા પાર્કનું નિર્માણ કરાયું છે. અહીંયા બાળકોને પાણી પીવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. હાલ તો આ પાર્કની હજુ શરૂઆત નથી કરાઈ પરંતુ આ પાર્ક વિષે માહિતગાર લોકો પાર્કની પ્રશંસા કરી રહ્યાં છે. પ્રથમ ઝોનમાં સ્ટેશન ફ્લાય શબ્જી ઘર જ્યાં ફળ અને શાકભાજીની મોટી પ્રતિકૃતિ બનાવાઈ છે. દૂધ નગર ઝોનમાં દૂધ પીવાથી બાળકોને થતાં ફાયદા, મા કી રસોઈ ઝોનમાં ગુજરાતી-રાજસ્થાની-પંજાબી-બંગાળી રસોઈની ઇમેજ મુકાઈ છે. VR અને AR થિયેટર પણ બનાવાયા છે જેમાં ડાયનાસોર,વાઘ જેવી પ્રતિકૃતિ નજરે પડશે.
આમ તો પાર્ક બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હતી જો કે વડાપ્રધાન આવવાના હોવાની વાત સાંભળીને તાબડતોબ આ કામગીરી પુરી કરવામાં તંત્ર લાગી ગયું છે. ચિલ્ડ્રન પાર્કના કામમાં રાતો રાત ટ્રેન સહીત બાળકોના વિવિધ રમકડાંઓ ઊભા કરી દેવાયા છે. ઓડિયો તથા વીડિયો ફિલ્મના માધ્યમ થકી પણ લોકોને માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો છે. હાલ તો આ પાર્ક બનવાની પ્રક્રિયા ચાલુ છે પરંતુ પાર્કની શરૂઆત બાદ બાળકોના પ્રવેશ માટે રૂ. 125 તથા વયસ્ક વ્યક્તિના પ્રવેશ માટે રૂ. 200 ટિકિટનો દર રાખવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
વિશ્વનું સૌથી મોટુ સફારીપાર્ક નિર્માણ પામી રહ્યું છે
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદીના આગમનને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અહિં વિશ્વનુ સૌથી મોટુ સફારી પાર્ક નિર્માણ થઇ રહ્યુ છે. 17 દેશોમાંથી વિદેશી પ્રાણીઓ આ સફારી પાર્કમાં લાવવામાં આવ્યાં છે. આ સફારી પાર્કમાં 1000 વધુ પક્ષીઓ અને પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. તેમજ ઓસ્ટેલિયન કાંગારુ, આલ્ફા લાંબા સહીત પ્રાણીઓ લાવવામાં આવ્યાં છે. સફેદ વાઘ અને એસિયાટીક સિંહની જોડીને લાવવામાં આવ્યાં છે.