ઉત્તરાયણને હજુ 12 દિવસ બાકી છે તે પહેલા ગુજરાતના સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં બાળકનો જીવ ગયો છે. ધાબા પર પતંગ ચગાવતો બાળક લપસી જતા બીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. તો આજે સુરતમાં BRTS રૂટને ક્રોસ કરતાં કિશોરને BRTS બસે અડફેટે લીધો હતો. જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પતંગના માંજાથી રાજકોટના યુવકનું ગળું કપાયું હતું. જેને લઇને તેનું મોત થયું હતું. સાવચેતી ન રાખીએ તો દર વર્ષે પતંગ ચગાવવાની મજામાં કરૂણંતિક ઘટનાઓ પણ બનતી રહે છે.
સુરતમાં ધાબા પરથી બાળક નીચે પટકાતા બાળકનું મૃત્યુ
રાજકોટમાં યુવકનું પતંગના માંજાથી ગળુ કપાતા મોત
ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં બે દુર્ઘટના
14 જાન્યુઆરી ઉતરાયણ છે. ત્યારે ઉત્તરાયણ પહેલા સુરત શહેરના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની છે. 5 વર્ષીય કેનિલ ગોહિલ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મૃત્યુ થયું હતું. બાળકના મૃત્યુને લઇને પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં BRTS બસ બની કાળ
BRTSબસે 14 વર્ષીય બાળકનો જીવ લીધો છે. ડાયમંડનગરના જલારામ મંદિર પાસે BRTS બસે શ્રમિક પરિવારના 14 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ડ્રાઇવર BRTS બસ લઈ ફરાર થઇ ગયો હતો.
તો 4 દિવસ પહેલા રાજકોટમાં પતંગની દોરી વાગી જતા એક યુવકનું મોત થયું હતું. 39 વર્ષીય વિપુલ બકરાણીયા નામનો યુવક મવા રોડ પર બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. આ દરમિયાન તેમને પતંગની દોરી ગળાના ભાગે વાગી જતા ગંભીર રીતે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ગંભીર ઇજાના કારણે તેનું મોત નિપજ્યું હતું. આકસ્મિક ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે. તેમના પરિવારમાં પત્નિ છે અને એક નાની દીકરી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે વિપુલભાઇ ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.
હજુ ઉત્તરાયણને ઘણા દિવસો બાકી છે ત્યારે પતંગના માંજા અને ધાબા પરથી પટકાવાની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. જોકે કારણ કે કોરોના મહામારીને લઈને લોકોએ સોશિયલ ડિન્ટન્સિંગ જાણવવું પડશે. ત્યારે જાણો કઈ-કઈ છે એ બાબતો જે ધ્યાનમાં લેવાથી સાવચેતી પૂર્વક ઉત્તરાયણનો તહેવાર માણી શકીશું.
ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણના દિવસે શું સાવચેતી રાખવી?
પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
બાઇક પર આગળ સેફ્ટી સળીયો લગાવવો.
કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.
અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
ઉત્તરાયણના તહેવારોમાં શું ના કરવું જોઈએ?
લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.