નવજાત બાળકોના મૃત્યુના પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યની સિવિલ હોસ્પિટલમાં બાળકોના થયેલા મૃત્યુને લઈને કોંગ્રેસના કાર્યકરોએ ઘરણા યોજ્યાં છે. રાજ્યમાં બાળ મૃત્યદરને લઈને કોંગ્રેસે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજ્યાં હતા જેમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યના મુખ્યમંત્રીના હોમટાઉનમાં જ બાળકોના મોતને લઇને નિશાન તાક્યું હતું.
સુરતમાં પરેશ ધાનાણીના રાજ્ય સરકાર પર પ્રહાર
સરકાર બાળમૃત્યુના આંકડા છુપાવે છે
આરોગ્ય પ્રધાનના શહેરમાં જ બાળકો સુરક્ષિત નથી
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષતા હેઠળ ધરણા યોજીને આરોગ્યતંત્રની બેદરકારીને ઉજાગર કરવાનો પ્રયત કર્યો છે. આ સાથે પરેશ ધાનાણીએ નિવેદન આપતાં રાજય સરકાર પર પ્રહાર કર્યાં છે.
પરેશ ધાનાણીએ કહ્યું કે સરકાર બાળમૃત્યુના આંકડા છુપાવી રહી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે જ ધાનાણીએ કહ્યું કે સરકાર તાયફામાં વ્યસ્ત છે. મુખ્યમંત્રીના હોમટાઉન તેમજ આરોગ્ય પ્રધાનના શહેરમાં જ બાળકો સુરક્ષિત નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં બાળકોના મૃત્યુને લઇને સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. રાજ્યમાં નવજાત બાળકોના મૃત્યુના પગલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નવજાત બાળકોના મૃત્યુને લઇને કોંગ્રેસ રાજ્ય સરકારને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રાજ્યમાં નવજાત શિશુઓના મોતના આંકડાઓ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીના 5 દિવસમાં જ 13 નવજાત શિશુઓના મોતના આંકડાઓને લઇને ખળભળાટ મચી ગયો હતો. જોકે આજે પણ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો યથાવત જોવા મળ્યો છે.