કચ્છઃ અબડાસામાં રૂબેલા રસીના કારણે બાળકીના થયેલા મોત મામલે તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે. દિલ્હીથી આવેલી ટીમે ખીરસર ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મૃતક બાળકીના પરિવારજનોની પણ ટીમે મુલાકાત કરી હતી. ખીરસર ગામે રૂબેલાની રસી લીધા બાદ બાળકીનું મોત થયું હતું. જ્યાં બાળકીના મોત બાદ આરોગ્ય તંત્રે તપાસના આદેશ આપ્યા હતા.
મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા રૂબેલા-ઓરીની નાબૂદી માટે રસી અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે રસી આપ્યા બાદ બાળકોની તબિયત લથડી છે અને કેટલાક પરિવારજનોએ એવો આરોપ કર્યો છે કે બાળકોના મોત પણ આ રસીના કારણે થયા છે.
ત્યારે થોડા દિવસ અગાઉ અબડાસામાં પણ બાળકીને ઓરી-રૂબેલાની રસી આપ્યા બાદ તેની આડઅસર થઇ અને ત્યાર બાદ તેનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. ત્યાર બાદ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને તપાસના આદેશ અપાયા છે.
જો કે આ 13 વર્ષીય બાળકીને શાળામાં રૂબેલાની રસી આપ્યા બાદ તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને ઘરે લઇ જવામાં આવી હતી અને ઘરે તે અચાનક ઢળી પડી હતી અને તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.