અમદાવાદમાં એક ગુનામાં પકડાયેલ સગીરને બાળગૃહમાં રખાયો હતો જ્યાં તેની તબિયત લથડી હતી પરિણામે સગીરનું મોત થઈ ગયું છે ત્યારે પરિવારે પોલીસના મારને કારણે સગીરનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી છે. પરિવારનું કહેવું છે કે અમારા દીકરાને પોલીસે ઢોર માર માર્યો હતો જેને પરિણામે તેનું મોત થયું છે. અમે જ્યાં સુધી તેના મોત માટે જવાબદાર સામે પગલા નહીં લેવાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ.
પોલીસ દમનથી થયુ મૃત્યુ
દીકરાએ કરી હતી માતા-પિતાને ફરિયાદ
સગીરની તબિયત બાળગૃહમાં લથડી
અમદાવાદના બાળગૃહમાં સગીરના મોતનો મામલે હવે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સગીરના પરિવારજનો જવાબદાર લોકો સામે સજાની માગ કરી રહ્યાં છે. સાબરમતીમાં 10.95 લાખની લૂંટ કેસમાં સગીરની અટકાયત કરવામાં આવી હતી. લૂંટ કરવાના ષડયંત્રમાં સગીરની સંડોવણીને લઇ તેની અટકાયત કરાઇ હતી. પોલીસે સગીર સહિત 4ની ધરપકડ કરી હતી.
શું છે પરિવારના આક્ષેપ
પોલીસનાં મારને કારણે કિશોરનું મોત થયું છે. અમારી માંગ છે કે જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવે. દીકરો કઈ ખાતો પિતો ન હોવાથી બાળ સંરક્ષણ ગૃહમાંથી ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમારો પુત્ર કઈ ખાતો પિતો નથી, તમે આવીને સમજાવીને જમાડો. હું ત્યાં ગયો તો મારા પુત્રએ મને કહ્યું કે, પપ્પા મને પોલીસને ખૂબ માર્યો છે, જેના કારણે હું કઈ પણ ખાઈ કે પી શકતો નથી, હું કોઈ જગ્યાએ બેસી શકું તેવી સ્થિતિમાં નથી.
શું કહે છે રિમાન્ડ હોમના અધિકારીઓ
રિમાન્ડ હોમનાં અધિકારીએ જણાવ્યું કે, સગીરની તબિયત બગડી હતી. જે બાદ તે ઘણાં જ અપશબ્દો બોલતો હતો. મારી નાંખીશ, કાપી નાંખીશ તેવું પણ બોલતો હતો. એટલે અમે તેના વાલીને આ અંગેની જાણ કરી તેઓ આવ્યાં અને તેની સાથે થોડું બેઠા. જે બાદ તેની તબિયત વધારે બગડતા અમે 108ને ફોન કર્યો અને તેને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
શું હતો બનાવ?
નેહાબહેન જે.શાહ ડિરેક્ટર છે અને તેમનો ભત્રીજો ધ્રુવિલ શાહ સેલ્સ એક્ઝીક્યુટીવ હતો. દરમિયાન એક શખ્સે આ કંપનીમાં ફોન કરીને પોતાની પાસેના 13000 યુરો વેચવાનાં હોવાનું કહેતા ધ્રવિલ અને અન્ય સેલ્સ એક્ઝીક્યુટીવ આશિષ કે. શાહ 10.95 લાખ રૂપિયા લઈને કાળી ગામ પહોંચ્યા હતા. દરમિયાન બે શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને તેમની પાસેથી આ નાણાં લૂંટીને ભાગી ગયા હતા. આ ટોળકીમાં સગીર પણ સામેલ હતો.
પોલીસે સગીરની પણ કરી હતી ધરપકડ
પોલીસે ધ્રુવિલ, યશ એસ.પટેલ, નરેશ દેસાઈ તથા આશિષની ધરપકડ કરી હતી. પોલીસે આ લોકો પાસેથી 10.70 લાખ કબજે કર્યા હતા. આ કેસમાં પોલીસે સગીરની પણ આ કાવતરામાં સાથ આપવા બદલ ધરપકડ કરી હતી. જેનું ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
ગુજરાતમાં 2010થી 2017એમ છેલ્લા 8 વર્ષમાં 470 વ્યક્તિનું કસ્ટોડિયલ ડેથ થયું છે. કસ્ટોડિયલ ડેથનું આ ઊંચું પ્રમાણ ખૂબજ ચિંતાજનક છે.
ગુજરાતના માનવાધિકાર પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી આરટીઆઇ અરજીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ RTIના જવાબમાં મળેલી વિગતો અનુસાર વર્ષ 2017 માં ગુજરાતમાં 55 કસ્ટોડિયલ થયા હતા. આ પૈકી સૌથી વધુ 15 કસ્ટોડિયલ ડેથ અમદાવાદમાં છે, જેમાંથી બે મોત પોલીસ કસ્ટડીમાં જ્યારે 13 મોત સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયા હતા.
શહેરી વિસ્તારમાં કસ્ટોડિયલ ડેથ રેશિયો ઉંચો
2017ના વર્ષમાં 55માંથી 33 એટલે કે 60 ટકા કસ્ટોડિયલ ડેથ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરમાં નોંધાયા હતા. જેમાંથી વડોદરા-સુરત-રાજકોટમાં 6-6 કસ્ટોડિયલ ડેથનો સમાવેશ થાય છે.
કસ્ટોડિયલ ડેથ એટલે શું
પોલીસ કસ્ટડીમાં કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને કસ્ટોડિયલ ડેથ કહેવામાં આવે છે. કોઇ આરોપી જેલમાં મૃત્યુ પામે તો તેને જ્યુડિશિયલ કસ્ટડી ડેથ કહેવમાાં આવે છે.
કસ્ટોડિયલ ડેથનો મતલબ એવો પણ થતો નથી કે કસ્ટડીમાં પોલીસના દમનથી જ વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોઇ વ્યક્તિ જેલમાં બિમાર પડે અને મૃત્યુ પામે તો તેને પણ કસ્ટોડિયલ ડેથ ગણવામાં આવે છે.
2017ના 55 કસ્ટોડિયલ ડેથમાંથી 7 પોલીસ કસ્ટડીમાં હતા. આ કિસ્સામાં પોલીસે તે વ્યક્તિનું લોકઅપમાં દમન કર્યું હોઇ શકે છે.