પ્રમુખ સ્વામી મહારાજ અનેક ભક્તોમાં જાણીતા છે. ભક્તો આજે તેમની 3જી પુણ્યતિથી ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે આપણે જાણીશું પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ ક્યાં થયો હતો અને તેઓ કઈ રીતે નારાયણસ્વરૂપ દાસ સ્વામી બન્યા અને સાથે જ પ્રમુખ સ્વામી પણ.
પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં. એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો. શાન્તિલાલ ઘરેથી ક્રિકેટનો સરંજામ લેવા વડોદરા જવા નીકળ્યા.
રસ્તામાં ભાઈલા ગામના રાવજીભાઈએ કહ્યું “ગુરુ શાસ્ત્રીજી મહારાજે તમારા માટે ચીઠ્ઠી આપી છે. અઢાર વર્ષના યુવાન શાન્તીભાઈએ કવર ખોલી ચીઠ્ઠી વાંચી.. તો તેમાં લખ્યું હતું. ” સાધુ થવા આવી જાઓ” શાન્તિભાઈ વડોદરા જવાને બદલે પાછા ઘેર આવી, માતા-પિતાને ચીઠ્ઠી બતાવી ને કહ્યું રાવજીભાઈના ભાઈલી ગામે મારે સત્સંગ માટે વિચરતા સાધુ નીલકંઠ સ્વામી અને ઘનશ્યામ સ્વામીને મળવા જવાનું ગુરુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું છે.
આ હરિભક્ત કુટુંબે આ પળને જીવનની ધન્ય પળ ગણી હસ્તે મુખે, કોઈ ચહલ પહલ વગર, ગૃહત્યાગ માટે શાન્તિભાઈને વિદાય દીધી. એ દિવસ હતો 7/11/1939 22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. ત્યારબાદ તેમનું નામ પડયું નારાયણસ્વરૂપ દાસ સ્વામી. અમદાવાદમાં આવેલી શાહપુર આંબલીની પોળમાં પ્રાચીન સ્વામીનારાયણ મંદિર જે યજ્ઞપરષ પોળ તરીકે પણ ઓળખાય છે ત્યાં માત્ર 28 વર્ષની વયે 1950ની જેઠ સુદ પાંચમના દિવસે શાસ્ત્રી મહારાજની નિશ્રામાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને પ્રમુખની પદવી સોંપવામાં આવી હતી. નાની ઉંમરથી જ તેમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ શાસ્ત્રી મહારાજને થઈ હતી.