મહારાષ્ટ્રના ગઠબંધન વાળી સરકારમાં અંદરો અંદર મતભેદ વધ્યા. મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ વરિષ્ઠ નેતા શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટ પર રોક લગાવી દીધી છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ હાલ ગરમાયું છે.
વરિષ્ઠ નેતા શરદ પવારનો ડ્રીમ પ્રોજેક્ટ રોકવામાં આવ્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રોક લગાવી
ગઠબંધન વાળી સરકારમાં મતભેદ ચરમસિમાએ પહોચ્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શરદ પવારના ડ્રીમ પ્રોજેક્ટ પર અચાનક રોક લગાવી છે. જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શરદ પવાર કેન્સરના દર્દીઓ માટે આવાસ યોજના બનાવી રહ્યા હતા જે તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. જેના પર રોક લગાવી દેવામાં આવી છે. તેમના પ્રોજેક્ટ પર રોક લગાવ્યા બાદ લોકોનું માનવું છે કે ગઠબંધન વાળી મહારાષ્ટ્રની સરકારમાં મતભેદ ચરમસીમાએ પહોચી ગયા છે.
બેઠકમાં શિવસેનાને આમંત્રણ ન આપ્યું
રાષ્ટ્રમંચના નામે વિપક્ષ દ્વારા દિલ્હીમાં શરદ પવારના ઘરે એક બેઠક બોલાવામાં આવી હતી. આ બેઠકમાં શિવસેનાને આમંત્રણ આપવામાં ન આવ્યું જે મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શરદ પવાર મોટા નેતા છે. જેથી તેમને મળવા માટે બધાજ જતા હોય છે. જોકે શિવસેના દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે આ બેઠકને લઈને કોઈ ફાયદો નથી થયો.
કેન્સરના દર્દીઓને ફ્લેટ આપવામાં વાંધો
જોકે એ વાત સ્પષ્ટ છે કે નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર અને શિવસેના વચ્ચે હવે મતભેદો વધી ગયા છે. શિવસેનાના ધારાસભ્ય અજય ચૌધરીએ પણ કેન્સરના દર્દીઓને ફ્લેટ આપવા મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે તેના કારણે સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે.
ભોઈવાડામાં બિલ્ડીંગ આપવા કહ્યું
જોકે અજય ચૌધરીએ એવું પણ કહ્યું કે તેમને ભોઈવાડામાં પૂરી બિલ્ડીંગ આપવામાં આવે તે વધારે સારુ રહેશે. વધુંમાં ધારાસભ્ય અજય ચૌધરીએ એવું પણ કહ્યું કે તેમની પત્નીનું પણ ચાર વર્ષ પહેલા કેન્સરને કારણે નિધન થયું હતું. જેથી તેમણે તેમની પત્નીના નામે એક સંસ્થા બનાવી છે જે સંસ્થા થકી તેઓ દર્દીઓને સેવા પૂરી પાડે છે.
ભાજપના ધારાસભ્યએ આપ્યું મહત્વનું નિવેદન
જોકે મુખ્યમંત્રી દ્વારા શરદ પવારના ડ્રીમ પ્રોજેકટ પર જે રીતે લોક લગાવામાં આવી છે. તેને લઈને ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે એવું નિવેદન આપ્યું છે કે સત્તાના સંઘર્ષમાં હવે માણસાઈ પણ મરી પરવારી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી એ વાત સાબિત થાય છે કે તેઓ શરદ પવારનું માન જરા પણ નથી રાખતા.
શરદ પવારે નથી આપી કોઈ પ્રતિક્રીયા
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અતુલ ભાતખલકરે એવું પણ કહ્યું, કે શરદ પવારના પ્રોજેક્ટ પર રોક લગાવીને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એવું સાબિત કરી બતાવ્યું કે અસલી બોસ એજ છે. પરંતુ આ સમગ્ર મામલે વરિષ્ઠ નેતા શરદ પવાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રીયા આપવામાં નથી આવી. ત્યારે તેમના દ્વારા હવે શું જવાબ આપવામાં આવશે તે જોવું રહ્યું.