ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગઇ કાલે વિધાનસભામાં જણાવ્યું કે રાજ્ય સરકારની એવી કોઇ જોગવાઇ નથી, જેમાં છેલ્લા 6 મહિનામાં વિરોધ પ્રદર્શનમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર આપી શકાય. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે વળતર આપવાનો કોઇ સવાલ જ ઊભો થતો નથી.
યુપીના CMએ કહ્યું, તોફાનીઓનાં મોત તોફાનીઓના હાથે થયાં છે
યોગી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહના સવાલનો જવાબ આપી રહ્યા હતા
19-20 ડિસેમ્બરે CAAના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનમાં 21 લોકો માર્યા ગયા હતા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાણકારી આપી કે છેલ્લા 6 મહિનામાં આવાં પ્રદર્શનમાં 21 લોકો મૃત્યુ પામ્યા છે. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં 400 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જ્યારે 61 પોલીસ કર્મચારીઓને ગોળી વાગી છે.
સરકારે દાવો કર્યો છે કે 19-20 ડિસેમ્બરે સીએએના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં માર્યા ગયેલા 21 લોકોમાંથી કોઇ પણ મૃત્યુ પોલીસની ગોળીથી થયું નથી. યોગીએ જણાવ્યું કે તોફાનીઓનાં મોત તોફાનીઓના હાથે જ થયાં છે.
યોગી ગઇ કાલે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહના સવાલનો જવાબ આપી રહ્યા હતા. સિંહે છેલ્લા 6 મહિનામાં થયેલાં તોફાનો સાથે જોડાયેલી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને લઇ સવાલ કર્યો હતો. તેમણે એમ પણ પૂછયું હતું કે શું સરકાર પીડિત પરિવારોને વળતર આપવા માટે કોઇ જોગવાઇ કરશે?