મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાસ્થળનું કર્યું નિરિક્ષણ
ઘટના અંગે 3 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આપ્યા આદેશ
હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ પહોંચ્યા હતા. તેઓ ઘટનાસ્થળની મુલાકાત લઇ રહ્યા છે. સાથે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત હતા. આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ પહોંચ્યા હતા.
3 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ
સીએમ ભૂપેન્દ્ર પેટેલે મુલાકાત લીધા બાદ નિવેદન આપતા કહ્યું છે કે મોરબીના હળવદમાં 12 શ્રમિકોના મોત મુદ્દે સરકારે તપાસનો આદેશ આપી રિપોર્ટ માગ્યો છે. ઘટના અંગે 3 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોને અપાઇ રહેલી સારવાર અંગે પણ સિવિલ હોસ્પિટલમાં જઇને વિગતો જાણી હતી. તેમણે આ ઇજાગ્રસ્તોને જરૂર જણાય વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવા પડે તો તે માટેની જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા તંત્રને સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત
આ દુર્ઘટનાને લઇને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની જાહેરાત કરી છે. તો કેન્દ્ર સરકાર પણ મૃતકોને 2-2 લાખ રૂપિયાની સહાય આપશે. તો ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવામાં આવશે.
કાટમાળ નીચે દટાયેલ શ્રમિકોને કાઢવા JCBની મદદ લેવાઇ
મહત્વનું છે કે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધસવાથી દુર્ઘટના એટલી ભયવાહ હતી કે 12 લોકો તેની નીચે ચગદાઇ ગયા હતા. 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ નીચે દટાયેલ શ્રમિકોને કાઢવા JCBની મદદ લેવાઇ હતી. કલેક્ટર અને SP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યો હતો જે બાદ તાબડતોબ રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનાને લઇને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના મુદ્દે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
અમિત શાહે શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મોરબીમાં અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાથે વાત કરી છે, વહીવટીતંત્ર રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી તેમની સારવાર કરવામાં આવી રહી છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
મૃતકોના નામની યાદી
રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા
કાજલબેન જેશાભાઈ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દિપકભાઈ દિલીપભાઈ સોમાણી
રાજુભાઈ જેરામભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શીતબેન દિલીપભાઈ
રાજીબેન ડાયાભાઈ ભરવાડ
દેવીબેન ડાયાભાઈ ભરવાડ
રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ: બ્રિજેશ મેરજા
દિવાલ ધસી પડવાની ઘટના મુદ્દે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'અધિકારીઓને તત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવાયા છે. રેસ્ક્યુની કામગીરી 90 ટકા પૂર્ણ થઈ ચૂકી છે.' આ દુર્ઘટના અંગે રિપોર્ટ આવ્યા બાદ આર્થિક સહાજ જાહેર કરવાની પણ તેઓએ ખાતરી આપી છે. બ્રિજેશ મેરજાએ કહ્યું કે, 'બોઈલર કે મશીનની આ દુર્ઘટના નથી.'