મોરબી વિધાનસભા વિસ્તારમાં બે બેલેટ યુનિટ અને લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ત્રણ બેલેટ યુનિટનો ઉપયોગ કરાશે: મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી
પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવારો
બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા
61 કરોડનું ડ્રગ્સ ઝબ્બે, 8 કરોડનો દારૂ પકડાયો
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણમાં 89 બેઠક માટે આગામી તા.01 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે.
કેટલા ઉમેદવારી પત્રો ભરાયા
બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022માં પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા.05 નવેમ્બરથી તા.14 નવેમ્બર સુધી કુલ 1,362 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યાં હતા. તા.15 નવેમ્બરના રોજ ચકાસણીના અંતે 999 ઉમેદવારોના નામાંકનપત્ર માન્ય રહ્યા હતા. ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની આખરી તા.17 નવેમ્બર પછી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર હવે કુલ 788 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન તા. 5 ડિસેમ્બરના રોજ યોજાશે. બીજા તબક્કા માટે તા.10 નવેમ્બરથી તા.17 નવેમ્બર સુધીમાં કુલ 1515 ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા છે. તા.18 નવેમ્બરના રોજ ચકાસણી થશે. તા.21 નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.17713.55 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.2241.75 લાખની રોકડ, 2.48 લાખ લિટરથી વધુ રૂ.894.72 લાખની કિંમતનો દારૂ, 818.19 કિલો જેટલું રૂ.6156.09 લાખનું ડ્રગ્સ અને રૂ.806.45 લાખની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.7614.54 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન, તમાકુ તથા પાન મસાલાનો સમાવેશ થાય છે.
મોરબીમાં બે અને લિંબાયતમાં ત્રણ બેલેટ યુનિટ
65-મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવાર હોવાથી 02 બેલેટ યુનિટ વપરાશે. જ્યારે સુરતના 163-લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે. ભારતના ચૂંટણી પંચના નિયમ મુજબ 16 ઉમેદવાર હોય તો (15 ઉમેદવાર+NOTA) 01 બેલેટ યુનિટ જ્યારે 16થી 31 ઉમેદવારો સુધી 02 બેલેટ યુનિટ તેમજ 32થી 47 ઉમેદવારો સુધી 03 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે.
મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મતદાન મથકો પર અને મત ગણતરી સમયે મત ગણતરી કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ભારતના ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકૃત અધિકારી કે પોલીસ અધિકારી સિવાય કોઈપણ વ્યક્તિ મતદાન મથકની અંદર કે મતદાન મથકના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં સેલ્યુલર ફોન-મોબાઇલ ફોન, કૉડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જઈ શકશે નહીં. ભારતના ઇલેક્શન કમિશનના આદેશોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.
પોસ્ટલ બેલેટ
વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 શંકાસ્પદ અથવા પ્રભાવિત કક્ષામાં સમાવેશ મતદારોને પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ 12-ડી વિતરણ કરવામાં આવે છે. જેમાં કુલ નોંધાયેલા મતદારો 12,26,911 પૈકી 8,60,262ને ફોર્મ-12 ડી વિતરણ કરાયું છે.
પ્રચાર-પ્રસાર માટે વાહન પરવાનગી
અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના 190 LED વાહનો, 09 ટેબ્લો, 04 પદાધિકારીઓ અને 40 સ્ટાર કેમ્પેઇનરોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 111 LED વાહનો, 11 ટેબ્લો અને ડી.જે. પ્રકારના 05 વાહનોને પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના 20 સ્ટાર પ્રચારકોને વાહનના ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી છે. આમ, એકંદરે 390 વાહનોને કેન્દ્રિયકૃત ધોરણે પરવાનગી આપવામાં આવી છે.
દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે સુગમતા
ભારતના ચૂંટણી પંચે દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ વયના મતદારો માટે વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુલભતા અંગે ચોક્કસ નિર્દેશો જારી કર્યા છે. જેમાં મતદાનના દિવસે આવા મતદારોને મતદાન મથક ઉપર રેમ્પ, પીવાનું પાણી, મતદાનમાં પ્રાથમિકતા, મતદાન મથક પર સહાયક, મતદાન મથક સુધી આવવા - જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટ મારફત ઘરે બેઠા મતદાનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વર્ગના મતદારો પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરી દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ વયના મતદારોને મતદાનની પ્રક્રિયામાં કોઇ અડચણ ન આવે અને તેઓને તમામ સુવિધાઓ/સહાય સુનિશ્ચિત કરવાના હેતુથી special observer ની નિમણૂંક કરવામાં આવી છે.