ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે હજુ તો ગઇકાલે જ BTP અને JDU વચ્ચે ગઠબંધન થયાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં તો એક જ દિવસમાં BTP-JDUના ગઠબંધનનું સુરસુરિયું થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને ખુદ પુત્ર મહેશ વસાવાએ નકારી કાઢી છે.
ગુજરાતની રાજનીતિમાં વધુ એક હલચલ: એક જ દિવસમાં BTP-JDUના ગઠબંધનનું સુરસુરિયું, મહેશ વસાવાએ કહ્યું મારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ, ગઠબંધનને લઈને પિતા-પુત્ર પહેલી વાર સામસામે#GujaratElection2022#BTP#JDU
આ અંગે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાનું કહેવું છે કે, 'મારી સાથે આ બાબતે કોઈ ચર્ચા નથી થઈ.' BTPના રાષ્ટ્રીય પ્રમુખ મહેશ વસાવાએ છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને વ્યક્તિગત ગણાવી છે. આથી કહી શકાય કે નવા ગંઠબંધનની જાહેરાતને લઈને પહેલી વાર પિતા-પુત્ર સામસામે આવી ગયા છે. ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં વિરોધ વધ્યો.
JDU અને BTP એક થઈને ચૂંટણી લડશે: છોટુ વસાવા
ઉલ્લેખનીય છે કે, હજુ તો ગઇકાલે જ છોટુ વસાવાએ JDU સાથે BTPના ગઠબંધનની જાહેરાત કરી હતી. છોટુ વસાવાની હાજરીમાં BTP પ્રદેશ અધ્યક્ષ અને JDUના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઈ હતી. જ્યાર બાદ છોટુ વસાવાએ નિવેદન આપતા કહ્યું હતું કે, 'JDU અને BTP એક થઈને ચૂંટણી લડશે. JDUની મદદથી અમે ચૂંટણી લડીશું. ગુજરાતમાં ખુદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેઓ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. JDU સાથે બેઠક બાદ સાથે મળીને અમે આગામી નવી યાદી જાહેર કરીશું.'
અગાઉ આ જ રીતે BTPએ AAP સાથેનું પણ ગઠબંધન તોડ્યું હતું
વધુમાં તમને જણાવી દઇએ કે, એકાદ મહિના અગાઉ પણ આ જ રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને પણ BTPના લીધે મોટો ઝટકો લાગ્યો હતો. કારણ કે, અગાઉ 1 મેના રોજ BTP અને AAP વચ્ચે પણ ગઠબંધન થયું હતું. જો કે, તે ગઠબંધન પણ થોડા જ દિવસોમાં તૂટી ગયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, કેટલીક બેઠકો હારવાના ડરથી BTPએ ગઠબંધન તોડ્યું હતું.
2017માં બીટીપીને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.