'પીઠોરા' આ નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય, પણ શું તમે આ ચિત્રકળા વિષે ઊંડાણ પૂર્વક વિચાર્યું છે ? આ ચિત્રમાં શું રહસ્ય છે ? આ કોઈ ચિત્ર નથી આ પીઠોરા એ આદીવાસીઓના દેવ છે અને તેને દોરવામાં નહિ પણ લખવામાં આવે છે.
છોટા ઉદેપુરના આદીવાસીઓ પ્રકૃતિપૂજક
આદીઅનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે
આ ચિત્રોને દેવી દેવતાઓ તેને વાંચી લે છે!
છોટા ઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. અહીયાં 80 % કરતાં વધુ આદીવાસીઓ વસે છે. તેમાય મોટેભાગે રાઠવા સમુદાય વસે છે. આ આદીવાસીઓ પ્રકૃતિપૂજક છે અને તેઓ આદીઅનાદી દેવો અને પૂર્વજોને જ પૂજે છે. આદીવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, જમીન માતા, અગ્ની દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે અને જેનાથી જીવ સૃષ્ટી શક્ય બની છે જેના વગર જીવન શક્ય નથી તેવા કુદરતી અને પ્રકૃતી નિર્મિત - નૈસર્ગીક છે તેવા તત્વોની પૂજા કરે છે. મૂર્તીપૂજામાં માનતા નથી પરંતુ પૂર્વજોના નામની સાગનાં કે સાદડના લાકડામાથી ખાંભ (ખૂટડા) બનાવીને તેની પૂજા કરવામાં આવે છે.
પ્રકૃતિપૂજક રાઠવા સમુદાયના દેવ એટલે પીઠોરા દેવ. આ આદીવાસીઓ જીવતા જાગતા દેવની પૂજા કરે છે. પીઠોરા દેવની કોઈ મૂર્તી નથી હોતી, તેનું માત્ર દીવાલ પર ચીત્રરૂપી લખાણ લખવામાં આવે છે. પીઠોરા એક લિપિ છે. આ પીઠોરા દેવ દરેક આદીવાસી પોતાના ઘરમાં લખાવે છે. આ પીઠોરા લખાવવા પાછળનો હેતુ સુખ, શાંતી અને સમૃધ્ધી મળે તે માટે જ પીઠોરા દેવને લખવામાં આવે છે.
દરેક ચિત્ર પાછળ એક રહસ્ય
પીઠોરા ચિત્રમાં દોરવામાં આવતા દરેક ચિત્ર પાછળ એક રહસ્ય છે. આ ચિત્રમાં સમગ્ર સૃષ્ટીનું ચિત્રણ કરવામાં આવે છે. જેને બે ભાગમાં દોરવામાં આવે છે. એક ભાગમાં સૂર્ય દેવને દોરવામાં આવે છે તો બીજી બાજુ ચંદ્ર દેવને દોરવામાં આવે છે. સૂર્ય દેવ તરફ જળ જંગલ જમીનની સાથે દીવસ દરમીયાન કરવામાં આવતી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે જ્યારે ચંદ્ર દેવ તરફ રાત્રી દરમીયાન કરવામાં આવતી તમામ ક્રિયાઓને દર્શાવવામાં આવે છે. આ બધા ચિત્રો લખારા દ્વારા લખવામાં આવે છે.
આ ચિત્રોને દેવી દેવતાઓ વાંચી લે છે!
પીઠોરા જ્યારે લખાતા હોય છે ત્યારે આદીવાસીઓ દેવના આગમનને વધાવવા ગાન કરતાં હોય છે સાથે સાથે મોટો ઢોલ વગાડીને નાચગાન કરીને પીઠોરાદેવને શ્રધ્ધાપૂર્વક આવકારે છે. ત્યારબાદ બળવા દ્વારા તેની પૂજા કરવામાં આવે છે. આ ચિત્રો જે લખવામાં આવે છે તે દેવી દેવતાઓ તેને વાંચી લે છે. આ ચિત્રમાં કળા અને સંસ્કૃતીનો સમન્વય કરેલો છે.
કીડીથી લઈને મોટા જીવ એવા હાથીના ચિત્ર
આ પીઠોરામાં નાના જીવ એવા કીડીથી લઈને મોટા જીવ એવા હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે નવા જમાના પ્રમાણે જેમ જેમ સુખ સમૃધ્ધી વધતી ગઈ તેના પણ ચિત્રો પીઠોરામાં દોરવામાં આવે છે. આ પીઠોરા લખાણની સુખ શાંતી માટેની ગાન કરીને પ્રાર્થના કરે છે.
પીઠોરા હજારો વર્ષ જૂની લીપી હોવાનું મનાય છે
પીઠોરા એ હજારો વર્ષ પહેલા લખાયેલી એક લીપી હોવાનું આદીવાસીઓ માને છે. જેમાં પશુ પંખીઓ સહીત સમગ્ર સૃષતીની સુખ સમૃધ્ધી માટે પીઠોરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાર્થના પીઠોરાદેવ વાંચીને પૂરી કરે છે. તેવી માન્યતા આદીવાસીઓમાં માનવામાં છે.