સરકારની ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાતથી લોકોમાં ખુશી તો છે પરંતુ છોટાઉદેપુરમાં ચેકપોસ્ટ માટે કરોડોના ખર્ચે બાંધવામાં આવેલ નવીન ઇમારતના ભવિષ્ય સામે સવાલ ઉભો થયો છે.
રાજ્ય સરકારે ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાત કરતા લોકોમાં ખુશી
બે વર્ષ પહેલા ત્રણ કરોડ 70 લાખના ખર્ચે નવી ચેકપોસ્ટ બની
આ બિલ્ડીંગ શું હવે ધૂળ ખાશે ?
ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતાં નેશનલ હાઇવે ઉપર છોટાઉદેપુર ખાતે વર્ષોથી એક નાનકડી ઓરડીમાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ કાર્યરત છે. બે વર્ષ પહેલાં ચેકપોસ્ટની એક નવીન ઈમારત બનાવવા સરકારે મંજૂરી આપી. આ ઇમારતનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટાઉદેપુરથી 7 kmના અંતરે 3.70 કરોડ ના ખર્ચે નિર્માણ કાર્ય ચાલુ છે. સંપૂર્ણ સુવિધા સંપન્ન આ છોટાઉદેપુર આર.ટી.ઓ. ચેકપોસ્ટની ઇમારતનું કામ લગભગ પૂર્ણાંતાના આરે છે.
ત્યારે સરકારે ચેકપોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. તેવામાં કરોડોનો ખર્ચ કરી બનાવવામાં આવેલ બિલ્ડીંગનું આગળ શું થશે તેવો સવાલ ઉભો થયો છે. ખુદ આર.ટી.ઓ. વિભાગને પણ આ બિલ્ડીંગનું શું કરવું તેની જાણકારી નથી.
ચેકપોસ્ટ બંધ કરવાની જાહેરાત બાદ છોટાઉદેપુરમાં 3.70 કરોડની માતબર રકમ થી નિર્માણ પામેલી આ બિલ્ડીંગ શું હવે ધૂળ ખાશે ? શું પ્રજા ના પૈસા પાણીમાં ગયા ? જેવા અનેક સવાલો સ્થાનિક પ્રજાને સતાવી રહ્યા રહ્યા છે. તો અહીંના લોકો જો ચેકપોસ્ટ બંધ થાય તો પ્રજાના રૂપિયે નિર્માણ પામેલી આ બિલ્ડીંગનો સદઉપયોગ થાય અને કરોડો રૂપિયા વ્યર્થ ના જાય તેવી માંગ કરી રહ્યા છે.