છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં આઠ લોકો મૃત્યુ પામ્યા છે. બેમેતરામાં આવેલા ગામ મોહભટ્ટામાં ખૂબ જ સ્પીડે જતી કાર બેકાબૂ બનેલી કાર રસ્તાના કિનારે રહેલા તળાવમાં ઘૂસી ગઇ હતી. કારમાં સવાર તમામ આઠ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના બાદ બેમેેતરામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ મૃતકોને લઇને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના થોડા સમય પહેલાં જ બની છે. જેમાં આઠ વ્યકિતઓ મૃત્યુ પામી છે. જેમાં ચાર મહિલાઓ, ત્રણ પુરુષો અને એક બાળક સામેલ છે.
ઘટનાસ્થળેથી મોબાઇલ અને આધારકાર્ડ મળ્યાં છે. જેના આધારે વ્યકિતઓની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. નજરે જોનાર લોકોએ જણાવ્યું કે કાર બાબામોહત્રા ક્ષેત્રથી બેમેતરા તરફ આવી રહી હતી. ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં કાર તળાવમાં ખાબકી હતી. તળાવમાં વધુ ઊંડાઇ હોવાને કારણે તમામ લોકો ડૂબી ગયા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં કારને દોરડું બાંધીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો.જેસીબીની મદદથી કાર બહાર કઢાઇ છે. એસપી પ્રશાંત ઠાકોર, કલેકટર શીખા રાજપૂત તિવારી પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. કલેકટરે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.