ન્યૂઝીલેન્ડ સામે સીરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટકરાશે. સાઉથ આફ્રિકા સામે વન ડે સીરીઝની સાથે રણજી ટ્રોફી ફાઈનલ મેચ પણ થવાની છે. જો ભારતીય ટીમનાં અમુક ખેલાડી રણજી ટ્રોફી રમવા જાય તો ટીમમાં મોટા ફેરફાર થશે. સૌરાષ્ટ્રની ટીમનાં કેપ્ટને કહ્યું છે કે ચેતેશ્વર પૂજારા રણજી ફાઈનલ મેચમાં રમશે. જોકે રવીન્દ્ર જાડેજા રણજી ટ્રોફી રમવા જાય તેની સંભાવના ખૂબ ઓછી છે.
ચેતેશ્વર પૂજારા રણજી ટ્રોફી રમવા જશે તેથી વન ડે સીરીઝમાં સામેલ નહીં થાય
રવીન્દ્ર જાડેજા સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં સામેલ થાય તેવી શક્યતા
મોહમ્મદ શમીને ઈજાનાં કારણે મળી શકે છે આરામ
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર ચેતેશ્વર પૂજારાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી અનુસાર પૂજારા રણજી ટ્રોફી ફાઈનલમાં સૌરાષ્ટ્ર તરફથી રમી શકે છે. પૂજારાની સાથે વિકેટકિપર ઋદ્ધિમાં સાહા પણ રણજી ફાઈનલમાં રમી શકે છે. 9 માર્ચનાં રોજ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી ફાઈનલ મેચ રમાશે. સૌરાષ્ટ્રની ટીમે ગુજરાતને 92 રનથી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે જયારે બંગાળની ટીમ કર્ણાટકને 174 રનથી માત આપી ફાઈનલમાં પહોંચી. માનવામાં અઆવી રહ્યું છે કે બંને ટીમ રણજી ટ્રોફી જીતવા માટે પોતાના મોટા ખેલાડીઓને ટીમમાં સામેલ કરશે.
ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચે વન ડે સીરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે એક અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્રની ટીમમાં રવીન્દ્ર જાડેજા સામેલ નહીં થાય. તેથી વન ડે સીરીઝની ટીમમાં રવીન્દ્ર જાડેજા સામેલ થાય તેની પ્રબળ સંભાવના છે. મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટમાં ખભાનાં ભાગે ઈજા થઇ હતી. તેથી તેઓને આરામ પણ આપી શકાય છે. સાથે જ બંગાળની ટીમ તરફથી તે રણજી ટ્રોફીમાં રમે તેની સંભાવના પણ નહિવત્ છે.
સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનાદકટે કહ્યું કે ચેતેશ્વર પૂજારા ફાઈનલ મેચમાં રમશે, જાડેજા વિશે કંઈ કહી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે 'હું પૂજારા સાથે સતત સંપર્કમાં છું, ટીમના પ્રદર્શનથી જેટલો ખુશ હું છું એટલાં જ ખુશ તે પણ છે.' ત્યાં જ બંગાળની ટીમ તરફથી ઋદ્ધિમાં સાહા પણ રણજી ટ્રોફી ફાઈનલમાં રમી શકે છે.