ચેન્નઈ સુપર કિંગ્સના મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયુડૂએ શનિવારે ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
ફરી એક વાર અંબાતી રાયુડૂએ લીધો યુ ટર્ન
સંન્યાસની જાહેરાત કર્યા બાદ ટ્વિટ ડિલીટ કરી દીધું
સીએસકેના સ્ટાર ખેલાડી રિટાયર નહીં થાય
ચેન્નઈ સુપર કિંગ્સના મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયુડૂએ શનિવારે ઈંડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. અચાનક લીધેલા આ નિર્ણયથી અંબાતીના ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. અમુક તો તેના કરિયર અને તેની સાથે જોડાયેલી યાદોને લઈને પણ પોસ્ટ કરવા લાગ્યા હતા, પણ બાદમાં રાયુડૂએ પોતાના આ ટ્વિટને ડિલીટ કરી નાખ્યું હતું. આ વિશે સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને જણાવ્યું હતું કે, રાયુડૂ હાલમાં આઈપીએલમાંથી રિટાયર નથી થઈ રહ્યો.
અંબાતી રાયુડૂએ લખ્યું હતું કે, હું ખુશી સાથે એ જાહેરાત કરુ છું કે, આ આઈપીએલ મારી અંતિમ સીઝન હશે. હું છેલ્લા 13 વર્ષથી 2 શાનદાર ટીમો સાથે રહ્યો. આ શાનદાર સફર માટે મુંબઈ ઈંડિયંસ અને ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર વ્યક્ત કરુ છું. બાદમાં તેણે આ ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું. હાલમાં તો રાયુડૂએ તેના વિશે કંઈ કહ્યું નથી, પણ ચેન્નાઈ ટીમના સીઈઓએ જણાવ્યું હતું કે, ટીમના ખરાબ પ્રદર્શનથી આ ક્રિકેટર નિરાશ થયો હતો.
કાશી વિશ્વનાથને કહ્યું કે, મેં તેની સાથે વાત કરી છે અને તે રિટાયર થઈ રહ્યો નથી. તે પોતાના પ્રદર્શનના કારણે નિરાશ થયો છે અને એટલા માટે તેણે આવું ટ્વિટ કર્યું હતું જો કે, હવે તે ડિલીટ કરી નાખ્યું છે. તે પાક્કુ છે કે, આ સીઝન પછી પણ તે રમતો રહેશે.
આ પહેલી વાર નથી જ્યારે રાયુડૂએ અચાનક સંન્યાસ લેવાની જાહેરાત કરી હોય. જ્યારે તેને 2019માં વન ડે વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ નહોતો બનાવ્યો ત્યારે પણ તેને સંન્યાસ લેવાની વાત કરી હતી. પણ બાદમાં તે પલ્ટી ગયો અને આઈપીએલમાં રમવા માટે પાછો આવી ગયો હતો.