સુરતમાં અરેરાટી ભરી ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા સૂતેલા 6 મજૂરોનું મોત થયું છે.
સુરતના સચીન GIDC વિસ્તારમાં મોડી રાતની ઘટના
ઝેરી કેમીકલની અસરથી 6 લોકોના નિપજ્યા મોત
20 થી વધુ લોકોને સરાવાર અર્થે સીવીલ ખસેડાયા
ટેન્કરમાંથી ઝેરી ગેસ લીકેજ થતા બની ઘટના
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થયું
સચિન GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 5 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 20 લોકો ગેસથી ગૂંગળાયા છે. જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતું થઈ ગયું છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા
મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન GIDCમાં પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો. જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ટેન્કરની એક પાઇપ લીક થતાં ગેસ ફેલાયો
વિશ્વ પ્રેમ મિલના પ્રોડક્શન મેનેજર આ મામલે જણાવ્યું હતું કે, ‘મિલ બહાર એક કેમિકલ ભરેલું ટેન્કર ઉભું હતું એનો એક પાઇપ બાજુની ડ્રેનેજ લાઈનમાં હતો. અચાનક ગૂંગળામણ શરૂ થતાં મિલના કારીગરો બેભાન થઈ જમીન પર પડ્યા લાગ્યા અને આખી મિલમાં ગેસના ગૂંગળામણની અસર થઈ ગઈ હતી.’
કેટલાક દર્દીઓની હાલત ગંભીર તો કેટલાકની સારી
આ મામલે સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, ‘સવારે 5 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની દુર્ઘટનાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક તમામ તૈયારી સાથે સજ્જ રહેવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ 20 દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યાં. જેમાંથી 6 દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ દર્દીઓમાંથી કેટલાકની હાલત સારી છે તો કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.’
પંચમહાલ કંપની બ્લાસ્ટ
આ પહેલા ડિસેમ્બરના મધ્યમાં રણજીતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકાનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જ્યારે 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. GFL કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બીજા દિવસે મૃત્યુઆંક વધીને 5 પર પહોંચ્યો હતો. ત્યારે બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું હતું.
વડોદરામાં બોઈલર બ્લાસ્ટે લીધા હતા જીવ
તાજેતરમાં વડોદરાના મકરપુરા GIDCમાં કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલર ફાટવાના કેસમાં પોલીસે કંપનીના ડાયરેક્ટર્સની ધરપકડ કરી હતી. કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે બોઇલર ફાટતા માતા પુત્રી સહિત કુલ ચાર લોકોના મોત થયા હતા.આ ઘટનામાં 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.