કચ્છમાં હંમેશા પાણીની તંગીની ફરિયાદો ઉઠે છે. છેલ્લા ત્રણ વર્ષના દુષ્કાળ પછી ઓગસ્ટ માસમાં પડેલા વરસાદના કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. ખેડૂતોને આ વર્ષ સારૂં જવાની આશા બંધાઇ છે ત્યારે મેઘમહેરને માનવીય ગુનાહિત ભૂલો શ્રાપમાં ફેરવી નાખે છે.
ડેમનું પાણી દૂષિત થવાની ભીતિ
સરહદી એવા લખપત તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો હતો તેના કારણે નાના નાના ડેમોમાં પાણી આવ્યા છે. પરંતુ કોટડા મઢ ગામ નજીક આવેલા નાના ડેમમાં માતાના મઢની જી.એમ.ડી.સી.ની ખાણમાં એકઠું થયેલું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ડેમનું પાણી દૂષિત થવાની ભીતિ ઉભી થઇ છે.
ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો આવી શકે છે વારો
ઉલ્લેખનીય છે કે, આ ડેમના પાણીથી આ વિસ્તારની 200 એકર જમીનમાં પિયત ખેતી કરવામાં આવે છે. મેઘમહેર પછી ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે. ડેમનું પાણી દૂષિત થશે તો મગફળીના પાકને પિયત કરી શકાશે નહીં અને ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવશે. આ વિસ્તારના ખેડૂતો અને અગ્રણીઓએ જીએમડીસીના અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ ડેમમાં દૂષિત પાણીની આવક ચાલુજ છે.
અધિકારીનું નિવેદન
આથી આ વિસ્તારના ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે. જી.એમ.ડી.સી.ના અધિકારીઓના મતાનુસાર ખાણમાં વરસાદી પાણી ભરાઇ ગયું છે અને તે છલકાઇને બહાર આવીને નદી વાટે ડેમમાં પહોંચે છે. આ પાણી અટકાવવા માટે ઉપાય શોધાઇ રહ્યો છે.
જો કે જ્યાંથી પાણી છલકાઇને બહાર આવે છે તે જગ્યાએ ઉંચી અને મજબૂત પાળી બનાવાય તો દૂષિત પાણી નદીમાં થઇને ડેમમાં જતું અટકી શકે તેમ હોવાથી જી.એમ.ડી.સી.એ આ બાબત સત્વરે પગલાં લેવાની જરૂર છે.