શ્રાવણ મહિનો શરૂ થતા ફરાળી વાનગીઓમાં ફેળસેળિયા કરનારા થયા સક્રિય, રાજકોટ ફૂડ વિભાગે આવા નફાખોરો સામે કરી લાલઆંખ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના દરોડા
શ્રાવણ મહિનાને લઈને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને કાર્યવાહી
રાજ્યમાં અત્યારે ઠેર ઠેર ખાણી પીણીની હાટડીઓ ખૂલી ગઇ છે. ગુજરાતમાં ક્યાય પણ જાઓ તમે જમવાનું તો મળી જ રહે. પરંતુ ઘણીવાર આ ધંધાની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખચકાતા નથી. નફાની લ્હાયમાં વેપારીઓ ભેળસેળિયો ધંધો કરીને મોં માગ્યા પૈસા ગ્રાહકો પાસેથી ખંખેરી લે છે. અને તેમાં પણ હવે શ્રાવણ મહિનો આવ્યો. એટલે ફરાળી વાનગીઓનું વેચાણ વધી જશે.જેને લઇને રાજકોટનું આરોગ્ય વિભાગ એક્શન મોડામાં આવ્યું છે.
રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી. ફરાળી વસ્તુઓમા થતી ભેળસેળને લઇને કાર્યવાહી કરવામાં આવી. બળેલુ તેલ તથા ભેળસેળ વાળી ફરાળી પેટિસનો નાશ કરવામાં આવ્યો. ફૂડ વિભાગ દ્વારા 33 ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં આવો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. તો આ ઉપરાંત ધનલક્ષ્મી ફરસાણ, શ્રી નાથજી ફરસાણ તથા ભગવતી ફરસાણ અને સંતોષ ડેરી ફાર્મમાં તપાસ કરાઇ હતી. ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 4 વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થના નમૂના લઇને વધુ તજવીજ હાથ ધરાવામાં આવી છે. તો ફૂડ વિભાગે ફરાળના વેપારીઓ સામે લાલ આંખ કરતા અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તરફ ફરાળ બન્યુ મોંઘુ
મહત્વનું છે કે શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થાય છે. લોકો ફરાળી વસ્તુઓ લેવા માટે આવે છે. ઉપવાસ કરનારા લોકો પણ ફળ અને ફરાળી વસ્તુઓ ખાય છે. આ તમામ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જરૂરી વસ્તુઓ પરથી GSTને કારણે લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાસ કરીને દૂધ, દહીં, લોટ જેવી ચીજ વસ્તુઓ પર 5 ટકા GST લગતા ભાવ વધ્યા છે. શ્રાવણ માસની શરૂઆત થતા ફરાળના ભાવ ભડકે બળ્યા છે. ફરાળના ભાવમાં 30થી 40 ટકાનો ભાવ વધારો થયો છે. મોરૈયો, કેળાની વેફર્સ, બફવડા અને અન્ય વસ્તુઓ ભાવ વધ્યા છે.