શહેરમાં એટીએમમાં કેશ લોડ કરનાર લોજીકેશ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાંચ કર્મચારીએ (કસ્ટોડિયન) 3.91 કરોડ રૂપિયા ઘર ભેગા કર્યા હોવાના ચકચારી કિસ્સામાં વટવા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ATM ફ્રોડના આરોપીના પિતાનું રહસ્યમય મોત
કેશ લોડ કરતી કંપનીના અધિકારીઓ સામે આક્ષેપ
3.91 કરોડ રૂપિયા ગુમ થયાની બની છે ઘટના
પોલીસે ગુનો દાખલ કર્યો તેના એક અઠવાડિયા પહેલાં એક આરોપી અરુણ દૂબેના પિતા આનંદભાઇ દૂબેની રેલવે ટ્રેક પરથી રહસ્યમય રીતે લાશ મળી આવી હતી. જેમાં કંપનીના કર્મચારીઓએ તેમની હત્યા કરીને લાશને ફેંકી દીધી હોવાના આરોપ થયા છે.
રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
બીએસએફમાં ફરજ બજાવતા ગિરીશ ચૌધરી (દૂબે)એ પોલીસ કમિશનરને લોજીકેશ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શિવેન્દ્ર પરિહાર, અનુરાગ પાંડે શક્તિસિંહ, નીતિન તેમજ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિર્મલભાઇ વિરુદ્ધમાં હત્યાની તેમજ માનસિક ત્રાસની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગિરીશનો નાનોભાઇ અરુણ દૂબે લોજીકેશ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી વિરુદ્ધમાં 30 નવેમ્બરના રોજ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. અરુણ ત્રીજી ડિસેમ્બરના રોજ એકાએક ગુમ થતા તેના પિતા આનંદ દૂબેએ રામોલ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ કરી હતી.
લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી
તે જ દિવસે રાત્રે બાર વાગ્યાની આસપાસ આનંદભાઇના મોબાઇલ પર કેટલાક લોકોના કોલ આવ્યા હતા અને તેમને મળવા માટે બોલાવતા હતા. આનંદભાઇ રાત્રે કોઇ વ્યકિતને મળવા માટે ગયા હતા. જ્યાં તેમને રાત્રે બે વાગે પત્ની સુધાદેવીને ફોન કર્યો હતો અને બ્રિજ પર છું તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. બીજા દિવસે સવારે પોલીસે સુધાદેવીને ફોન કરીને જણાવ્યું હતું કે આનંદભાઇની લાશ રેલવે ટ્રેક પર પડી છે.
પોલીસે હાથ ધરી તપાસ
આનંદભાઇ જ્યારે કોઇને મળવા માટે ગયા તે સમયે કંપનીના માણસો તેમજ વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિર્મલભાઇ રાત્રે બે વાગે અરુણના ઘરે આવ્યા હતા અને સુધાદેવીની હાજરમાં ઘર ફેંદીને જતા રહ્યા હતા. સુધાદેવીએ આ મામલે વટવા પોલીસને ફરિયાદ પણ કરી પરંતુ તેમને કોઇ કાર્યવાહી કરી નહી. ત્યારે ગિરીશ ચૌધરીએ પોલીસ કમિશનરને પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ કરી છે. વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ સિસારાએ જણાવ્યું છે કે આનંદભાઇના મોત મામલે પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાયું છે. તેમના પરિવારજનોની ફરિયાદ પ્રમાણે તપાસ શરૂ કરાઇ છે.