ઉત્તરાખંડના ઉચ્ચ ગઢવાલ હિમાલયી વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ઘ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ગઇ કાલે એટલે કે અખાત્રીજના પાવન પર્વ પર ખોલવામાં આવ્યા. આ સાથે જ આ વર્ષની ચારધામ યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. ગઢવાલ હિમાલયી ચારધામ નામથી બે અન્ય ધામો, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ક્રમશ 9 મે અને 10 મેના રોજ ખુલશે.
વિધિવત્ હવન, પૂજા અર્ચના, વૈદિક મંત્રોચ્ચારણ તથા ધાર્મિક રીતિ રિવાજો સાથે માતા ગંગાના ધામ ગંગોત્રીના કપાટ ગઇ કાલે સવારે 11:30 વાગે ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલવાના અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં હાજર હતાં જેમણે માતા ગંગાનો જય જયકાર કર્યો. આ અવસરે ગઢવાલના કમિશનર ડોક્ટર બીવીઆરસી પુરુષોત્તમ સહિત વરિષ્ઠ પ્રશાસનિક અને ધાર્મિક અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બાજુ યમુનાને સમર્પિત યમુનોત્રી ધામના કપાટ પણ બપોર બાદ સવા વાગે શ્રદ્ધાળુઓ માટે ખોલી નાખવામાં આવ્યાં.
તીર્થયાત્રીઓના સ્વાગત માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે ચારેય તીર્થ કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીની સફળ યાત્રા માટે શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, “ઉત્તરાખંડ ચારધામ યાત્રા માટે તીર્થ યાત્રીઓ સ્વાગત માટે તૈયાર છે.'' તેમણે એમ પણ જણાવ્યું કે સુરક્ષા અને તીર્થ યાત્રીઓની અન્ય સુવિધાઓની સંભાળ રાખવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી પણ યમુનોત્રીની નજીક બર્નીગાડ પહોંચ્યા જ્યાં તેમણે યમુનામાં સ્નાન કર્યું.
Uttarakhand: Earlier visuals of pilgrims flocking to Gangotri dham after its portals were opened yesterday. (7.5.19) pic.twitter.com/haAkiRUYf4
પ્રદેશના પર્યટન સચિવ દિલીપ જાવલકરે જણાવ્યું કે ભારે બરફવર્ષા હોવા છતા કેદારનાથ યાત્રા પર આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાજ્ય સરકાર તથા જિલ્લા પ્રશાસન સંભવિત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દ્વાર ખોલવામાં આવે તે પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાશે. સાથે જ તેમણે જણાવ્યું કે કેદારનાથ ધામમાં આશરે 3000 મુસાફરોની રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે, કેદારનાથ મંદિર પરિસરની ચારેયબાજુ હજુ પણ ભારે બરફ જમા છે પરંતુ મંદિર તરફ જવાના રસ્તાને સાફ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થઈ હતી. સરકારે હાલમાં બરફ સાફ કરવાનું કામ હાથ ધર્યું છે. કેદારનાથમાં યાત્રીઓ માટે બનાવેલી જે કુટિરો બરફવર્ષામાં નષ્ટ થઇ ગઇ છે. તેને પણ ફરી ઉભી કરવાનું કામ કરાઇ રહ્યુ છે.