3 મેથી શરૂ થનારી ચાર ધામની યાત્રાએ જતા પહેલાં શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.
ચાર ધામની યાત્રાને લઇને સૌથી મોટા સમાચાર
શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મોટો નિર્ણય
3 મેથી શરૂ થનારી ચાર ધામની યાત્રાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસોનો લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે. નેગેટિવ RTPCR રિપોર્ટ વગર કોઇને પણ પરવાનગી નહીં મળે.
3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલી નખાશે
અત્રે તમને જણાવી દઇએ કે 3 મેના રોજ યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલી નાખવામાં આવશે અને ત્યાર બાદ 6મેના રોજ કેદારનાથ અને 8મેના રોજ બદ્રીનાથ ધામના દરવાજા પણ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ત્યારે હવે દેશમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવતા ઉત્તરાખંડ સરકાર ફરી એલર્ટ થઇ ગઇ છે. ઉત્તરાખંડ સરકારે ચાર ધામ આવનારાઓ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.
અત્રે નોંધનીય છે કે, દેશમાં ફરી એક વાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દરરોજ આંકડામાં વધારો થઈ રહ્યો છે, જે લોકોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,303 નવા કેસ નોંધાયા છે, જે પછી એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજાર 980 થઈ ગઈ છે.
પોઝિટીવીટી રેટ પણ વધ્યો
દૈનિક પોઝિટીવીટી રેટ પણ વધીને (0.66%) થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 2563 નવા દર્દીઓ સાજા પણ થયા છે. જો કુલ આંકડાઓ પર નજર કરીએ તો, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4 કરોડ 25 લાખ 28 હજાર 126 થઈ ગઈ છે. આ સિવાય મહામારીના કારણે 5 લાખ 23 હજાર 693 લોકોના મોત થયા છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દિલ્હીમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોવિડના નવા કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે, છેલ્લા 24 કલાકમાં બુધવારે કોવિડના 1,367 નવા કેસ નોંધાયા છે. હાલમાં દિલ્હીમાં કોવિડના એક્ટિવ પેશન્ટ્સની સંખ્યા 4800ને વટાવી ગઈ છે. અગાઉ 6 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 1,410 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં સતત છઠ્ઠા દિવસે કોવિડના 1,000 થી વધુ કેસ નોંધાયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ
છેલ્લાં 24 કલાકમાં કુલ 4,97,669 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 83.64 કરોડ (83,64,71,748) ટેસ્ટ કર્યા છે. દેશમાં વિકલી પોઝિટીવીટી રેટ હાલમાં 0.61% છે અને દૈનિક પોઝિટીવીટી રેટ પણ 0.66% હોવાના અહેવાલ છે.