સુરત રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટની ઘટના સામે આવી છે, મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બ્લાસ્ટ થયો હતો, જો કે જાનમાલનું કોઈ નુકસાન થયું હોવાની જાણકારી બહાર આવી નહોતી.
સુરત રેલ્વે સ્ટેશન પર થયો બ્લાસ્ટ
મુસાફરની ફટાકડા ભરેલી બેગમાં થયો બ્લાસ્ટ
બેગમાં લાગેલી આગ પર તંત્રે મેળવ્યો કાબૂ
હાલમાં દિવાળી પર્વના દિવસો ચાલી રહ્યા છે, તેને લઈને લોકોમાં ઘણો ઉત્સાહનો માહોલ છે અને લોકો બજારમાંથી ધૂમ ફટાકડાની ખરીદી પણ કરી રહ્યા છે જો કે સુરત રેલવે સ્ટેશન પર એક મુસાફરની ફટાકડા ભરેલી બેગમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી, જેને લઈને હાજર લોકોમાં અફર તફરીનો માહોલ સર્જાયો હતો.
રેલ્વે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ
મળતી માહિતી મુજબ એક મુસાફર ફટાકડા ભરેલી બેગ લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી જઈ રહ્યો હતો, જો કે કોઈ અગમ્ય કારણોસર તેની ફટાકડા ભરેલી બેગમાં બ્લાસ્ટ થયો હતો, જેને લઈને આખી બેગમાં આગ લાગી હતી, પહેલા બ્લાસ્ટ અને પછી બેગમાં લાગેલી આગ જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી અને રાહતની વાત એ હતી કે તંત્રે બેગમાં લાગેલી આગ પર પણ કાબૂ મેળવી લીધો હતો.
પરંતુ જો આ ઘટના ટ્રેનના કોઈ ડબ્બામાં કે ચાલતી ટ્રેનમાં બનવા પામી હોત તો ઘણી મોટી જાનહાનિ થવાની સંભાવના હતી, આમ ફટાકડા ભરેલી બેગ જાનલેવા પુરવાર થઈ હોત, પરંતુ આ દુર્ઘટના બનવા પામી નહોતી.