રાજ્યમાં ઉત્તરાયણની હર્ષોઉલ્લાસથી અનોખી ઉજવણી કરાઈ; બનાસકાંઠામાં ઉત્તરાયણની સાંજે એકસાથે 50 હજારથી વધુ લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યો, સાબરકાંઠામાં દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવી
રાજ્યમાં ઉત્તરાયણની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરાઈ
ઉત્તરાયણની પર્વ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કર્યો
સાબરકાંઠામાં દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવી
ગુજરાતભરમાં આજે મકરસંક્રાતિ (ઉત્તરાયણ)ની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા હતા. રાજ્યના તમામ શહેરોમાં પણ લોકો ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી છે. લોકો પતંગ ચગાવવાની સાથે 'કાઇ પો છે..' અને 'લપેટ' જેવા શબ્દોથી વિવિધ શહેરો ગુંજી ઉઠ્યા હતા. બીજી બાજુ બનાસકાંઠા ઉત્તરાયણની સાંજે લોકોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા છે. ચાલો રાજ્યમાં ઉત્તરાયણનો રંગ કેવો રહ્યો તે જાણીએ.
બનાસકાંઠા : ઉત્તરાયણની સાંજ પડતાં જ હનુમાન ચાલીસા પાઠ વાગ્યા, 50 હજારથી વધુ લોકો જોડાયા, જુઓ VIDEO
ઉત્તરાયણના પર્વ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ કર્યો
બનાસકાંઠામાં ઉત્તરાયણની પર્વ નિમિત્તે ઓનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે, ઉત્તરાયણના પર્વને લઈ ડીસાના ધારાસભ્યની અપીલને ઐતિહાસિક સમર્થન મળ્યું છે. તેમણે અપીલ કરી હતી કે, ઉત્તરાયણની સાંજે સૌ કોઈ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કરે. જેના ભાગ રૂપે ઉત્તરાયણની સાંજે લોકોએ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતાં. એકસાથે 50 હજારથી વધુ લોકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યો હતાં. ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ઉત્તરાયણની સાંજે પરિવાર સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા લોકોને અપીલ કરી હતી, આમ બનાસકાંઠામાં ઉત્તરાયણનો રંગ કંઈક તમને જણાવ્યા અનુસાર ભક્તિ સાથે જામ્યો હતો.
સાબરકાંઠામાં દેવ ચકલીની પૂજા કરી તેને ઉડાડવામાં આવી
સાબરકાંઠાના ઇડર તાલુકા ના ધોળીયા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલી ને પકડી તેની પૂજા કરી હતી. તલ ગોળ ખવડાવી ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસતા આગામી વર્ષ સારા વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે ફળદાયી બની શકે તેઓ વધારો આપ્યો છે. જોકે દેવ ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ ગણાય છે. જોકે આજે દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ સ્થાનિક વિસ્તાર માટે શુકનિયાળ બની રહેશે તેવું માનવામાં આવે છે.
બોટાદના સારંગપુરમાં હનુમાનજીના વિશેષ શણગાર
આ સિવાય મકરસંક્રાંતિના ખાસ પર્વ નિમિતે બોટાદના સારંગપુરમાં હનુમાનજી વિશેષ શણગાર કરવામાં આવ્યા હતો. પતંગોના આ પર્વમાં બોટાદના સારંગપુરમાં હનુમાનજીના સિંહાસનને પતંગોથી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યું હતું અને એ સાથે ચીકી, મમરાના લાડુ, તલના લાડુ સહિતનો ભોગ ધરાવાયો હતો. રંગબેરંગી પતંગોથી દાદાનું સિંહાસન ઝળહળી ઉઠ્યું હતું. જણાવી દઈએ કે મકરસંક્રાતિના પાવન પર્વ પર મોટી સંખ્યામાં લોકો દર્શન કરીને હનુમાનદાદાનો આશીર્વાદ લેવા માટે ઉમટ્યા હતાં અને આ સાથે જ ત્યાંઆ પરંપરા પ્રમાણે ગૌશાળામાં ગાયોની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતીં.
માર્કેટમાં ઉંધિયું-જલેબી લેવા લોકોનો ધસારો રહ્યો
આજે રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી સાથે ઉંધિયા માર્કેટમાં પણ લોકોનો વહેલી સવારથી મોડી સાંજ સુધી ધસારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં પ્રતિ કિલોએ રૂપિયા 250થી 450 ઉંધિયાનો ભાવ રહ્યો છે. ઉંધિયા સાથે જલેબી અને લીલીવાની કચોરીની પણ માર્કેટમાં વધારે માંગ રહી છે. ઉંધિયું અને જલેબી લેવા લોકોએ વહેલી સવારથી જ લાઈન લગાવી દીધી હતી. જણાવી દઇએ કે, દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં લાખો કિલો ઉંધિયાનું વેચાણ થાય છે.