રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ અને સિવિલ હોસ્પિટલને લગતી અગત્યની PIL અને સુઓ મોટોની સુનાવણી કરતી ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ન્યાયાધીશો તરીકે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ બેન્ચમાં પહેલા જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ વોરાનો સમાવેશ થતો હતો જયારે હવે જસ્ટિસ ઈલેશ વોરાને બદલે ચીફ જસ્ટિસ વિક્રમ નાથનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત એક વિશિષ્ટ એરેન્જમેન્ટ કરવામાં આવી છે જે અંતર્ગત કોરોના સંકટમાં તાત્કાલિક લેવી પડે એવી મેટર માટે ન્યાયાધીશોની ખંડપીઠ બનાવવામાં આવી છે. આ પ્રમાણે સિવિલ અને ક્રિમિનલ મેટર માટે બે ડિવિઝન બેન્ચ બનાવવામાં આવી છે જેમાંથી એક બેન્ચમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પારડીવાલાનો અને બીજી બેન્ચમાં જસ્ટિસ આર એમ છાયા અને જસ્ટિસ ઈલેશ વોરાનો સમાવેશ થાય છે.
આ સિવાય સિવિલ અને ક્રિમિનલ મેટર માટે સિંગલ બેન્ચ મેટર્સમાં જસ્ટિસ સોનિયા ગોકાણી, જસ્ટિસ આર પી ઢોલરીયા જસ્ટિસ વિપુલ પંચોલી, જસ્ટિસ એ જે શાસ્ત્રી, જસ્ટિસ બી એન કારિયા અને જસ્ટિસ સંગીતા વિશેનનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે અગાઉ જસ્ટિસ પારડીવાળા અને જસ્ટિસ ઈલેશ વોરાની બૅન્ચ હતી જેમાં સિનિયર જસ્ટિસ તરીકે પારડીવાળા હતાં. આવામાં હવે ચીફ જસ્ટિસ વિક્રમ નાથના વડપણ હેઠળ જસ્ટિસ પારડીવાળા બૅન્ચમાં કામગીરી કરશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોના સંકટની કામગીરીમાં બેદરકારી મુદ્દે ફટકારી હતી. હાઈકોર્ટના જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ ઈલેશ વોરાની સંયુક્ત બેન્ચ રાજ્ય સરકાર વિરૂદ્ધની પિટિશન પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટની સંયુક્ત જસ્ટિસની આ બેન્ચે રાજ્ય સરકારને વિવિધ મુદ્દે ઉધડો લીધો હતો. આ ઉપરાંત જસ્ટિસે અમદાવાદ સિવિલ હોસ્પિટલની જાતે મુલાકાત લેવાની વાત કરી છે. જો કે હજુ સુધી જસ્ટિસ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયા નથી.